મુંબઈ અને પુણેમાં મેઘ તાંડવ : બે સ્થળોએ દીવાલ ધરાશાયી થતા ૨૧ લોકોના મોત
મુંબઈ અને પુણેમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે.છેલ્લા ૫ દિવસથી વરસી રહેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે તો બે સ્થળોએ દીવાલ ધરાશાયી થતા ૨૧ લોકોના મોત નીપજ્યા છે. તો બીજી તરફ શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
નેરુત્યના ચોમાસાએ મુંબઈમાં દસ્તક દેતા જ હાહાકાર મચાવી દીધો છે.મુંબઈ અને પુણેમાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જન જીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદના કારણે બે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દિવાલ પડવાના કારણે કુલ 21ના મોત થયા છે.મલાડ ઈસ્ટમાં પિમ્પરીપાડામાં સોમવારે મોડી રાતે દિવાલ પડી જવાના કારણે 13 લોકોના મોત થયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.
સરકારે મલાડ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખની સહાય જાહેર કરી છે. બીજી તરફ ભારે વરસાદની આગાહીના કારણે સ્કુલ કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.મુંબઈ પોલીસે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.હવાઈ સેવા અને રેલ સેવા પણ વરસાદના કારણે પ્રભાવિત થઇ છે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ લપસી ગઈ હતી અને તેના કારણે મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે.આ ઘટના બાદ ૫૪થી વધુ ફ્લાઈટ ડાયવર્ટ કરી દેવામાં આવી છે.