વર્તમાન સમયમાં આધુનિક ટકનોલોજી અને સોશિયલ મીડિયાનો વધ્યો વ્યાપ
૨૧મી સદીને જ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકોના સંપર્કમાં પહોંચી શકાય છે. ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ,ઇન્સ્ટાગ્રામ,ટીકટોક અને બીજી ઘણીબધી સાઈટ્સના માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે.
સોશિયલ મીડિયા તર્કશક્તિ વધારે છે. આપણે જાણીએ છીએ કે, વર્તમાનમાં જેટલો સમય વયસ્ક લોકો વાતચીતમાં પસાર કરે છે, એટલો સમય યુવાનો સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ સારી વસ્તુઓ શીખવાડે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું નવું નવું જાણી શકે છે. સોશિયલ મિડિયાના માધ્યમથી ન્યૂઝ, દુનિયામાં બનતા બનાવો, રાજકીય માહિતીની આપ-લે, સંદેશાની આપ-લે વિગેરે સરળતાથી કરીને તમે તમારી જાતને અપડેટ રાખી શકો છો, અને બીજાને પણ. સોશિયલ મીડિયાથી દુનિયા ખુબ નજીક આવી ગઈ છે.
યુનિવર્સિટી ઓફ કેન્સાસે એક રિસર્ચમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ માટે લાભદાયક છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં જોડાઈ રહેવાને કારણે અને એકબીજા સાથે વિચારોની આપ-લે કરવાને કારણે ઘણી સારી વાતો જાણી અને શીખી શકે છે. એટલું જ નહીં તેઓ ચર્ચા માટે પોતાની તર્કશક્તિનો વિકાસ કરી શકે છે.
જે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર તર્ક-વિતર્ક કરે છે તેની તાર્કિક ક્ષમતા તેમના સહપાઠી વિદ્યાર્થીઓ કરતાં ઘણી વધારે હોવાનું પુરવાર થયું છે. રિસર્ચમાં પુરવાર થયું છે કે, વર્તમાન સમયમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે અને પોતાની જાતને અપડેટ રાખે છે.
બીજી તરફ હવે તો તહેવાર અને વ્યવહાર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઉજવાઈ રહ્યા છે. હમણા જ દિવાળી આવશે, દિવાળીની શુભેચ્છાના મોટાભાગના મેસેજ વ્હોટસઅપ પર જ આવશે. આપણને જાણે એમ લાગે કે, દિવાળીની ઉજવણી માત્ર સોશિયલ મીડિયા પુરતી મર્યાદિત થઈ ગઈ છે. સોશિયલ મીડિયાને કારણે લાગણીના સંબધોને સ્થાન રહ્યું નથી.