સાંતલપુરમાં સગીરાના દુષ્કર્મ અને અપહરણનો મામલોઃ 200નું ટોળું પોલીસને ઘેરી વળ્યું
પાટણનાં સાંતલપુરમાં સગીરાના દુષ્કર્મ અને અપહરણ મામલે નવો વળાંક આવ્યો છે. પોલીસ તરફથી આરોપીઓની ધરપકડ અને પીડિતાની શોધ ન થતાં ઠાકોર સેનાના ૨૦૦ જેટલા કાર્યકરો ધોકા અને લાકડીઓ સાથે ગોંખાતરગામે આવી પહોંચ્યા હતા. ટોળાએ પોલીસનો ઘેરાવ કર્યો હતો. અને ૨૪ કલાકમાં પીડિતા નહી મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે સગીરાની માતાએ પણ કહ્યું હતું કે, પીડિતા નહીં મળે તો આત્મવિલોપન કરશે.
શું હતી ઘટના ?
સાંતલપુરના ગોખાંતરગામે દસ દિવસ અગાઉ સગીરા ઉપર તેના ગામના યુવાન મલેક સાહિલખાન દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવતીના પિતાના જણાવ્યાં મુજબ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ ન થતા આખરે શખ્સે બુધવારની મોડી રાત્રે તેના મિત્રો સાથે આવીને પીડીતાનું મોઢુ દબાવી અપહરણ કરી લઈ ગયા હતા. વધુમાં સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, અમને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="50327,50328,50329,50330,50331"]
ઠાકોર સેનાના ૨૦૦ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા
અમે પોલીસને જાણ કર્યા બાદ પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. પોલીસ દ્ગારા કોઈ બંદોબસ્ત ગોઠવવામાં નથી આવ્યો. ખબર ફેલાતા સાંતલપુર અને રાધનપુર તાલુકાના 200થી વધુ ઠાકોર સેનાના કાર્યકરો ધોકા અને લાકડીઓ સાથે ગોખાંતરગામે આવી પહોંચ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પોલીસ અશ્વિન ચૌહાણ અને એએસપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ઠાકોર સેનાના પ્રમુખો સાથે મિટીગ યોજી હતી.
સગીરાની માતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી...
પોલીસે ટોળાને શાંત કરવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે અમને ૨૪ કલાકનો સમય આપો અમે પીડીતાને શોધી લાવીશુ અને આરોપીને પકડી પાડીશુ. જ્યારે ઠાકોર સેનાના પ્રમુખોએ ચીમકી આપતા કહ્યું હતું કે ૨૪ કલાકમાં કોઇ પરિણામ નહિ મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અને તેની જવાબદારી પોલીસતંત્રની રહેશે. જ્યારે પીડીતાની માતાએ જણાવ્યું હતું કે મારી પુત્રી મને નહિ મળે તો હું આત્મવિલોપન કરીશ તેની જવાબદારી પોલીસની રહેશે.