સુરત: ૩૦૦થી વધુ સ્કૂલ વાહનોને કરાયા ડિટેઇન
સોમવારથી સ્કૂલો શરૂ થાય તે પહેલાં જ આરટીઓ અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહન જેવા કે, વાન, રિક્ષા અને બસ પર વોચ ગોઠવી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ૩૦૦થી વધુ સ્કૂલ વાહનોને ડિટેઇન કરાયા હતાં.
સ્કૂલ વાન, રિક્ષા અને બસના ચાલકોએ ટેક્સી પાસિંગ કરાવવી પડે છે. ત્યાર બાદ સ્કૂલની પરિમટ કઢાવી પડે છે. તે સાથે ચાલકે ડ્રાયવિંગ બેચ, વાહનોનું ઇન્સ્યોરન્સ, પીયુસી, ફિટનેસ અને સીએનજી સર્ટિફિકેટ પણ ફરજિયાત છે. જો કે, મોટા ભાગના સ્કૂલ વાનના ચાલકો ટેક્સી પાસિંગ અને સ્કૂલની પરમિટ કઢાવ્યા વિના જ દોડાવી રહ્યા છે. તે સાથે સાથે તેમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી હોતા અને દર બે વર્ષ સીએનજી સર્ટિફિકેટ રિન્યુ કરાવવાનું રહેતું હોય તે પણ નથી કરવામાં આવતા.
બે દિવસ સોમવાર અને મંગળવાર એમ બે દિવસ ટ્રાફિક પોલીસ અને આરટીઓના ઇન્સ્પેક્ટરોએ કડક ચેકિંગ કરીને ૩૦૦ સ્કૂલ વાહનોને ડિટેઇન કર્યા છે. જોકે બીજી તરફ સ્કૂલ વાન ચાલકોમાં પણ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કોઇપણ પ્રકારની નોટીસ આપ્યાં વિના વાહનો સીધા ડિટેઇન કરાતા નારાજગી જોવા મળી રહી છે.
ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જોષીએ આદેશ કર્યો છે કે, માર્ગ અકસ્માતમાં પાંચ થી વધુના મોત થયા હશે તો આરટીઓ કે એઆરટીઓ ઘટના સ્થળે જઈ અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ કરશે અને માર્ગ અકસ્માતમાં પાંચ થી ઓછાના મોત થયા હશે તો તેમની તપાસ ઇન્સ્પેક્ટરો કરશે.
આ ટીમની સાથે એનએચ-૮, ઇમરજન્સી-૧૦૮ અને પોલીસ પણ ઘટના સ્થળે જશે અને તેઓ માર્ગ અકસ્માતનું તારણ શોધશે. તે પછી રિપોર્ટને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં મૂકાશે અને તેની ચર્ચા વિચારણાં કરાશે.