10 ડિસેમ્બર પછી રેલવે, મેટ્રો, બસમાં નહિ સ્વીકારાય રૂ 500 ની જૂની નોટ
નાણાં ,મંત્રાલય દ્વારા જરૂરી ફેરફારો સાથે ફરમાન જારી કરવામાં આવ્યુ છે જે અંતર્ગત રેલવે, મેટ્રો અથવા બસ ટિકિટ ખરીદી માટે જૂની રૂ 500ની નોટની સમય મર્યાદા 15 ડિસેમ્બર થી ઘટાડીને 10 ડિસેમ્બર કરવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર રેલવે ટિકિટ કાઉન્ટરો, સરકારી અથવા જાહેર ક્ષેત્રની બસો અને રેલવેમાં મુસાફરી દરમિયાનની કેટરિંગ સેવાના બિલ માટે રૂ 500ની જૂની નોટનો ઉપયોગ 10 ડિસેમ્બર સુધીજ માન્ય ગણાશે અને 10 ડિસેમ્બર મધરાત થી તેને બંધ કરવામાં આવશે.
પરંતુ અગાઉની જાહેરાત પ્રમાણે સરકાર હોસ્પિટલોમાં તબીબી સારવાર માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે દવાઓ ખરીદવા, કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા અધિકૃત દૂધ સંચાલન બુથ, LPG સિલિન્ડરોની ખરીદી માટે જરૂરી ઓળખના પુરાવાઓ સાથે રૂ 500ની જૂની નોટનો ઉપયોગ 15 ડિસેમ્બર સુધી માન્ય રહેશે.
વધુમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જાળવવામાં આવેલ સ્મારકોની પ્રવેશ ટિકિટ ખરીદી તથા ફિ, કર, દંડ, પાણી અને વીજળી બિલ, કેન્દ્રીય અથવા રાજ્ય સરકાર ચૂકવવાપાત્ર કર, કોર્ટની ફી, તેમજ મ્યુનિસિપલ અને સ્થાનિક મંડળની શાળાઓમાં વિધાર્થી દીઠ રૂ 2000ની મર્યાદામાં રહીને ચૂકવવા માટે રૂ 500 ની જૂની નોટનો ઉપયોગ થઇ શકશે.