દારૂબંધી VS દારૂની બદી !
“बड़े बड़े परिवार मिटें यों, एक न हो रोनेवाला,
हो जाएँ सुनसान महल वे, जहाँ थिरकतीं सुरबाला,
राज्य उलट जाएँ, भूपों की भाग्य सुलक्ष्मी सो जाए,
जमे रहेंगे पीनेवाले, जगा करेगी मधुशाला।“
હરિવંશરાય બચ્ચન
અમિતાભ બચ્ચના પિતા હરિવંશરાય બચ્ચની આ કવિતા મધુશાલામાં મદિરપાન વિશે સુંદર આલેખન થયું છે. મદિરાપાનનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ કરાયો છે.
વૈજ્ઞાનિક સંશોધનોમાં સાબિત થઇ ચૂક્યુ છે કે આલ્કોહોલને જો પ્રતિદિન નિયત પ્રમાણમાં લેવામાં આવે તો તે સ્વાસ્થય માટે લાભપ્રદ છે. પરંતુ લોકોને નશો ગમે છે. તેથી આલ્કોહોલનું નિયત પ્રમાણ જળવાતુ નથી અને લોકો નશાગ્રસ્ત થઇને ધન અને સ્વાસ્થય બંને વેડફી રહ્યા છે. તેવામાં દેશના કેટલાક રાજ્યોમાં દારૂબંધી લાદવામાં આવેલી છે. એપ્રિલ માસમાં જ નીતિશકુમારે બિહારમાં દારૂબંધી જાહેર કરી હતી. જોકે, સરકારના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
ત્યારે પટના હાઇકોર્ટે શુક્રવારે બિહારમાં દારૂબંધીને ગેરકાયદેસર ગણાવી હતી. નીતિશકુમારે એપ્રિલ મહિનામાં જ બિહારમાં દારૂના ઉત્પાદન, વેચાણ અને પીવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.
બિહાર સરકારે આ નિર્ણય કર્યો ત્યારે દારૂના કારણે રાજ્યને થતી આવક બંધ થવાના પણ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે નીતિશ કુમારે જણાવ્યું હતું કે દારૂમાં લોકો જે ખોટી રીતે ખર્ચ કરે છે તેને તેઓ સારી વસ્તુઓ પર ખર્ચ કરી શકશે. એટલું જ નહી સરકારે ગુનાખોરીના આંકડા જાહેર કરીને જણાવ્યું હતું કે દારૂબંધીના કારણે ગુનાખોરીમાં 27 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં 1960માં રાજ્યના નિર્માણ સાથે જ દારૂબંધી લાદવામાં આવી હતી. તેમજ દેશમાં ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં દારૂના કારણે મોત થાય તો દારૂ બનાવનાર અને વેચનારને મૃત્યુદંડની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
ત્યારે સવાલ એ થાય છે કે શું દારૂબંધી કરવાથી દારૂનું વેચાણ કે દારૂનું સેવન બંધ થઇ જાય છે. ગુજરાતમાં 1960થી દારૂબંધી છે. તેમ છતાં લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓમાં કેટલાય લોકો હોમાય છે. તાજેતરમાં જ સુરત લઠ્ઠાકાંડમાં 20થી વધુ લોકોના મોત થયા હતા.
હાલમાં દેશના ગુજરાત, કેરાલા અને નાગાલેન્ડ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષ્યદ્વીપમાં દારૂબંધી છે. જ્યારે ભારતના બાકીના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂની છૂટ અપાયેલ છે.
જેમાંથી કેરાલામાં 24 ઓગષ્ટ 2014ના રોજ મુખ્યપ્રધાન ઓમાન ચાંદીએ દારૂબંધી જાહેર કરી હતી. નાગાલેન્ડમાં 1989થી દારૂબંધી છે. લક્ષદ્વીપ એકમાત્ર એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં દારૂબંધી કરવામાં આવી છે.