શંકરસિંહનાં શક્તિ પ્રદર્શન બાદ સસ્પેન્સ પરથી પડદો ઉંચકાશે
ગુજરાત કોંગ્રેસનો જુથવાદ શાંત પડતો નથી, એક તરફ ભલે સબસલામતની છાપ કોંગી નેતાઓ દર્શાવી રહ્યા હોય પરંતુ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ પ્રત્યે રહેલી નારાજગી અંગેનું જે રહસ્ય રહ્યુ છે તેનો અંત બાપુના જન્મદિન પ્રસંગે યોજાનાર શક્તિ પ્રદર્શન બાદ આવી શકે છે.
બાપુ કોંગ્રેસમાં જ રહેશે કે પછી અન્ય પક્ષ સાથે હાથ મિલાવશે યાતો રાજકારણ માંથી નિવૃત થશે જેવી અટકળો હાલમાં રાજકીય પક્ષોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાત કોંગ્રેસમાં સબસલામત હોવાનું નેતાઓ કહી રહ્યા છે, પરંતુ શંકરસિંહ વાઘેલાને લઈને જે થોડા સમયથી સસ્પેન્સ ચાલી રહ્યું છે એ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બન્યુ છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ તારીખ 21મી જુલાઇના રોજ શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ છે અને આ દિવસે તેઓએ મહાત્મા મંદિરમાં પોતાના સમર્થકોને મળવાના છે. અને આ શક્તિ પ્રદર્શન બાદ બાપુ કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામુ આપીને પક્ષ સાથે છેડો ફાડશે તેવી ચર્ચાઓ ઉગ્ર બની છે.
ચર્ચા મુજબ બાપુ કોંગ્રેસનો હાથ છોડીને NCPમાં જોડાઈ શકે છે અથવા તો રાજકારણ માંથી નિવૃતિ પણ લઇ શકે છે, જો બાપુ કોંગ્રેસને બાયબાય કરેતો તેઓનો આ નિર્ણય કોંગ્રેસ માટે તારીખ 8મી ઓગષ્ટના રોજ યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે મુશ્કેલી પણ ઉભી કરી શકે છે.