આમોદનાં દલિત હોમગાર્ડ જવાનના વિવાદનો આવ્યો અંત
આમોદનાં દલિત હોમગાર્ડ સાથે કરવામાં આવેલા અન્યાય બાદ ગાર્ડ અને તેઓના સમાજના લોકો દ્વારા આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામવવામાં આવ્યુ હતુ, જે લડતનો સુખદ અંત આવ્યો હતો.
આમોદનાં હોમગાર્ડ જવાન ગણપત જેઠાભાઇ મકવાણાને થયેલા અન્યાય સામે તેઓએ અગાઉ આવેદન પત્ર પાઠવીને પણ ન્યાય માટેની ગુજારીશ કરી હતી, પરંતુ કોઈજ કાર્યવાહી ન થતા તેઓની મદદે દલિત સમાજ આવ્યો હતો,અને આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામીને ન્યાયની માંગણી કરી હતી.જેના ઘેરા પડઘા પડતા આખરે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિતેન્દ્ર ગાંધી તેમના સ્ટાફ સાથે આમોદ ખાતે દોડી આવ્યા હતા. અને ગણપત મક્વાણાને પારણા કરાવીને તેઓને આમોદ હોમગાર્ડના ઇન્ચાર્જનો ચાર્જ સુપ્રત કર્યો હતો, તેઓની આ લડતનો સુખદ ઉકેલ આવતા દલિત સમાજે ખુશી વ્યક્ત કરી હતી.
જ્યારે ગણપત મકવાણાને હોમગાર્ડનાં ઇન્ચાર્જ પદેથી દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે ધારાસભ્ય છત્રસિંહ મોરી પર પણ આક્ષેપો થયા હતા, જોકે છત્રસિંહ મોરીએ પણ હોમગાર્ડ જવાનને મળીને પોતાની પર લાગેલા આક્ષેપોનું ખંડન કર્યુ હતુ અને ખોટા અને ખોટા આક્ષેપોને રદિયો આપ્યો હતો.