ગોરખપુરમાં 60 થી વધુ માસુમ બાળકોના મોત બાદ સીએમ યોગીએ ચુપકીદી તોડી
ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં બીઆરડી હોસ્પિટલમાં સર્જાયેલી કરુણાંતિકામાં 60 જેટલા માસુમ બાળકો મોતને ભેટ્યા હતા. અને આ મામલે રાજકારણ પણ ગરમાયુ હતુ. ત્યારે સીએમ યોગી આદિત્યનાથે પણ ચુપકીદી તોડીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
ઉત્તરપ્રદેશનાં ગોરખપુરની બીડીઆર મેડિકલ કોલેજમાં છેલ્લા પાંચ દિવસમાં 60 થી વધુ બાળકોનાં મોત થી અરેરાટી વ્યાપી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૌન તોડીને જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે, અને તમામ પ્રકારની મદદ માટે આશ્વાસન આપ્યુ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને અનુપ્રિયા પટેલ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
સીએમ યોગીએ વધુમાં જણાવ્યુ હતુ કે હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ઠપ થઇ જવાના કારણે ઘટના બની છે કે કોઈ અન્ય કારણ જવાબદાર છે,મૃતક બાળકોનાં સાચા આંકડા,અને ઘટના મુદ્દે બેદરકાર કોણ છે ? આ તમામ બાબતો મુદ્દે ન્યાયિક તપાસનાં આદેશો આપ્યા છે.અને જો ઓક્સિજનની અછત જાણવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સપ્લાયરની ભૂમિકાની તપાસ માટે પણ એક કમિટી બનાવવામાં આવી છે, સપ્લાયરને 8 વર્ષનો કોન્ટ્રાકટ પહેલાની સરકારે આપ્યો હોવાનું પણ સીએમ યોગીએ જણાવ્યુ હતુ.