Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં 10 જીઆઇડીસી સ્થાપવાની જાહેરાત કરતા સીએમ રૂપાણી

ગુજરાતમાં 10 જીઆઇડીસી સ્થાપવાની જાહેરાત કરતા સીએમ રૂપાણી
X

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજ વંદન કર્યુ હતુ.

આ પ્રંસગે ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવનાર શહીદો, સ્વતંત્ર સેનાનીઓ અને વિરસપૂતોને યાદ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, 90 વર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતનો પણ સિંહ ફાળો રહ્યો છે. જેમાં સર સયાજીરાવ ગાયકવાડના યોગદાનને પણ ભૂલી શકાય તેમ નથી. સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અરવિંદ ઘોષ જેવાને દેશની સ્વતંત્રતા માટે વડોદરામાંથી જ પ્રેરણા મળી હતી. જે વડોદરા માટે ગૌરવની વાત છે.

71માં સ્વાતંત્ર્ય દિને મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ માટે ગુજરાતમાં વધુ 10 જી.આઇ.ડી.સી. સ્થાપવાની જાહેરાત કરતા જણાવ્યું કે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત વિકાસમાં હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુમાં વધુ લઘુ ઉદ્યોગો સ્થપાય તે માટે ગુજરાત સરકાર હંમેશા કટીબધ્ધ છે.

ગુજરાતમાં આવનારના દિવસોમાં વધુ જી.આઇ.ડી.સી. સ્થપાતા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. સાથે ગુજરાતનો વિકાસ વધશે. અને ગુજરાતના યુવાનોને રોજગારી મળશે.

[gallery type="slideshow" size="full" ids="30170,30171,30172,30173,30174,30175,30176,30177,30178,30179,30182,30183,30184,30185,30186,30187,30188,30189,30190"]

આ ઉપરાંત દરિયો ખેડવા જતા મોતને ભેટતા સાગર ખેડૂઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા 2 લાખની જાહેરાત તુરંત જ આપવાની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સાગર ખેડુને મૃત્યુ બાદ 7 વર્ષે સહાય મળતી હતી. પરંતુ, હવે એક વર્ષ સુધી લાશ ન મળે તો પણ તેમને રૂપિયા 2 લાખ સહાય ચૂકવી દેવામાં આવશે.

કુદરતી અને કુત્રિમ આપત્તીઓને અવસરમાં ફેરવવા માટે ગુજરાત જાણીતુ છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિનાશક પૂરમાં સમગ્ર ગુજરાતમાંથી મદદનો ધોધ વહી રહ્યો છે. જેમાં વડોદરાના સરકારી કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો સહિત શહેરીજનો દ્વારા રૂપિયા 101 કરોડની પૂરપિડીતો માટે સહાય કરવામાં આવી છે.

વિકાસ યુગમાં સમય ચાલતો નથી, દોડી રહ્યો છે. નવી પેઢીના હાથમાં કોમ્પ્યુટર, ટેબલેટ છે. પારદર્શક વહીવટ માટે ઇમાનદારી પણ જરૂરી છે. સત્તા એ સેવાનું માધ્યમ છે. સત્તાથી જન સેવાનો યજ્ઞ આદર્યો છે. ગુજરાતને નવી ઉંચાઇએ પહોંચાડી છે. સરકાર ઇમાનદાર છે. સૌના સુખે સૌના દુઃખે કામ કરવાનો ગુજરાત સરકારનો સંકલ્પ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આરોગ્ય, કૃષિ, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર, રોજગાર એમ તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ કર્યો છે. છેવાડાના માનવી સુધી સરકાર પહોંચી છે. ગુજરાતની 58 ટકા જમીન સુકી હોવા છતાં કૃષિમાં વિકાસ થયો છે. વર્ષ 2020 સુધીમાં તમામને વીજ કનેકશન આપી દેવાનો સરકારનો સંકલ્પ છે. ખેડૂતો માટે સરકારે રૂપિયા 2000 કરોડની ફાળવણી કરી છે. ગુજરાતમાં દુષ્કાળ હવે ભૂતકાળ બની જશે. તેમ હું વિશ્વાસ પૂર્વક કહું છું.

Next Story