ધનતેરસની પૂજાવિધિ અને તેનું માહાત્મ્ય
આસો વદ તેરસ મંગળવારને તારીખ 17-10-2017 ધનતેરસનો શુભ દિવસ છે. આ જ દિવસે દેવતા અને દૈત્યો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યુ હતુ. ત્યારે ધનતરેસનો મહિમા શું છે તેમજ ધનતેરસના દિવસે ક્યા દેવી અને દેવતાની પુજા કરવામાં આવે છે. તે અંગે શાસ્ત્રી અસીતભાઈ જાની જણાવે છે કે ધન તેરસના દિવસને અમૃત ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. સમૃદ્ર મંથન દ્વારા 14 રત્નો બહાર આવ્યા હતા. તેમાં લક્ષ્મીજી આ દિવસે ઉત્પન્ન થયા હતા અને વૈધ ધનવંતરી મહારાજ પણ અમૃત કુંભ હાથમાં લઈ પ્રગટ થયા હતા.
પૌરાણીક કથા અનુસાર આસો વદ અગીયારસ થી આરંભ કરી કારતક સુદ એકમ એટલે કે નવુ બેસતુ વર્ષ દેવતાઓ પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ પર્વમાં પૃથ્વી પર વધુમાં ધનતેરસના દિવસે લક્ષ્મીજીનું પુજન કરવામાં આવે છે. તિજોરી તેમજ તિજોરીમાં રહેલા ધનનું પુજન કરી ધન શુધ્ધ કરવામાં આવે છે.
ધન તેરસનાં દિવસે ખાસ કરીને લોકો સોનાના આભુષણોનુ પુજન કરે છે. તેમજ સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરતા હોય છે. ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરી ઘરમાં પુજા કરી તીજોરીમાં રાખવામાં આવે તો દેવતાઓની કૃપા વર્ષે છે. તેમજ ધન ધાન્યમાં વૃધ્ધિ પણ થાય છે.
આ જ દિવસને ધનવંતરી ભગવાનની જન્મ જંયતિ પણ કહેવાય છે. જે આયુર્વેદના દેવતા છે. આ દિવસે આયુર્વેદના આચાર્યો, વૈધ્યો ધનવંતરી ભગવાનનુ પુજન કરે છે. તેમની કૃપા પ્રાપ્ત કરે છે. આસો વદ ત્રયોદશીના પાવન પર્વમાં જે કોઈ પણ મનુષ્ય લક્ષ્મી પુજન કરે છે. તે સુખ અને સમૃધ્ધિની પ્રાપ્તિ કરે છે. ધન તેરસના દિવસે ઘરના આંગણે રંગોળી કરે છે. દિવા પ્રગટાવે છે. ઉત્સાહ અને ઉમંગથી લક્ષ્મી પુજન કરે છે. તેના ઘરમાં લક્ષ્મી નારાયણ સહિત સમસ્ત દેવતાઓ સદાય માટે નિવાસ કરે છે.
આ દિવસે જે મનુષ્ય ઘરના આંગણે તેમજ દક્ષિણ દિશા તરફ દિવા પ્રગટાવે છે અને યમને પ્રાર્થના કરે છે. જેને યમદિનપદાન કહેવામાં આવે છે. આમ કરવાથી તે ઘરમાં ક્યારેય કોઈ પણ સભ્યનુ અપ મૃત્યુ થતુ નથી. જે ઘરમાં આજના દિવસે આનંદ ઉલ્લાસ ખુશી અને સંપ રહે છે. તે ઘરમાં મા લક્ષ્મી આખુ વર્ષ સ્થિર થઈને રહે છે.
જુની કહેવત મુજબ જ્યા સંપ ત્યા સદાય લક્ષ્મીનો વાસ. આસો વદ તેરસના મંગળવાર તારીખ 17-10-2017ના ધનતેરસ રાત્રીના 12.11 સુધી છે. આ દિવસે લક્ષ્મી પુજન, ધનવંતરી પુજન, ધન પુજન, શ્રી યંત્ર પુજા, કુબેર પુજા તેમજ સોનુ ચાંદી ચોપડા ખરીદવા માટે અને ગાદી બિછાવવા માટે શ્રેષ્ઠ શુભ મુર્હૂતો નીચે પ્રમાણે છે.
દિવસના શુભ ચોઘડીયા :
ચલ 9.39 થી 11.05
લાભ 11.05 થી 12.32
અમૃત 12.32 થી 1.59
શુભ 3.25 થી 4.52
રાત્રીના શુભ ચોઘડીયા :
લાભ 7.52 થી 9.26
શુભ 10.59 થી 12.32
દિવસના શુભ હોરા :
શુક્ર 8.41 થી 9.39
બુધ 9.39 થી 10.36
ચંદ્ર 10.36 થી 11.34
ગુરૂ 12.32 થી 13.30
શુક્ર 15.25 થી 16.23
બુધ 16.23 થી 17.21
ચંદ્ર 17.21 થી 18.19
રાત્રીના શુભ હોરા :
ગુરૂ 19.21 થી 20.23
શુક્ર 22.28 થી 23.30
બુધ 23.30 થી 24.32
ચોઘડીયા કરતા શાસ્ત્ર મુજબ હોરા શ્રેષ્ઠ છે અને સર્વથી શ્રેષ્ઠ પ્રદોશ કાળ છે. તેનો સમય સાંજે 6.20 થી 8.49નો છે. આ પ્રદોશ કાળમાં હોરા કે ચોઘાડીયા જોવાની જરૂરીયાત નથી. આમા ભક્તિ પુજન ઉત્તમ છે. ધન તેરસની નગરજનોને ઉદ્યોગપતિઓને અને વેપારીઓને કનેક્ટ ગુજરાતની શુભકામના.