વડોદરામાં પ્રથમ વાર કોરોના વાઇરસથી શ્રીલંકાના પ્રવાસથી પરત આવેલ 55 વર્ષીય આધેડનું મોત, ગુજરાતમાં મૃત્યુઆંક પહોચ્યો 7 પર
લોકડાઉન હોવા છતાં દેશભરમાં કોરોના
નામનો કહેર ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે નવા પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. ત્યારે
ગુજરાતમાં કોરોનાના વધુ એક દર્દીનું વડોદરામાં મોત થયું છે. આ
સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે. વડોદરામાં નિઝામપુરાના 55 વર્ષીય પુરૂષનું મોત થયું છે. આ
શખ્સ તાજેતરમાં શ્રીલંકા પ્રવાસથી પરત આવ્યા હતા અને તેમને કોરોનાના લક્ષણો જોવા
મળ્યા હતા. આ ઉપરાંત તેમના પરિવારના ચાર લોકોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા
ખળભળાટ મચી ગયો હતો. વડોદરામાં આ સૌપ્રથમ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત છે. અત્યાર
સુધીમાં ગુજરાતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 87 પર પહોંચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ નિઝામપુરામાં
રહેતા શ્રીલંકાથી આવેલા આધેડના સંપર્કમાં આવવાથી તેમના પરિવારના ચાર લોકોને પણ
કોરોનાનો ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે, પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ
પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.