ભારતીય વાયુસેનાની તાકાતનો પરચમ, 88માં એરફોર્સ ડેની કરાઇ રહી છે ઉજવણી
ભારતીય વાયુસેનાનો આજે 88મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસની ઉજવણી દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના હિંડોન એરફોર્સ સ્ટેશન ખાતે કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીના કારણે સ્થાપના દિનની ઉજવણી પ્રેક્ષકો વગર ઉજવવામાં આવી રહી છે. જે ઇતિહાસમાં પ્રથમ વખત છે. સામાન્ય રીતે હવાઈ દળ સ્થાપના દિનની ઉજવણીમાં અહીં 15 હજારથી વધુ લોકો પહોંચે છે. પરંતુ આ વખતે સામાન્ય લોકોને તેનાથી દૂર રાખવામાં આવ્યા છે.
આ વખતે, ઉજવણી કાર્યક્રમમાં ફક્ત પસંદગીના લોકો જ જોડાશે. એર શોમાં, ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર ત્રણેય સૈન્યના વડાઓને સલામ કરશે. રાફેલ, તેજસ અને સુખોઈની ત્રિપુટી ટ્રાન્સફોર્મર રચના બનાવીને લોકોને તેમની શક્તિ બતાવશે. એરફોર્સ ડે નિમિત્તે એરફોર્સ સ્ટેશન પર આયોજિત અદભૂત કાર્યક્રમના દ્રશ્યો જોવા મળશે.
આઇએએફના ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરીયાએ હિંડોન એરબેઝ પર 88 માં ભારતીય વાયુસેના દિન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી કહ્યું કે, અમારા જાંબાઝ વાયુ યોદ્ધાઓ પર અમને ગર્વ છે. ભારતીય વાયુ સેનાના પરિવારનું સન્માન કરીએ છીએ. અમારું આકાશ સુરક્ષિત રાખવા માનવીય સહાયતા અને આપત્તિ રાહતમાં નાગરિક અધિકારીઓની સહાયતા કરવા માટે રાષ્ટ્ર IAFના યોગદાન માટે ઋણી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા ભારતીય વાયુ સેનાને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, એર ફોર્સ ડે પર ભારતીય વાયુસેનાના વીર યોદ્ધાઓને ખુબ શુભકામના. તમે માત્ર દેશના આકાશને સુરક્ષિત રાખતા નથી પરંતુ આપત્તિના સમયમાં માનવની સેવામાં પણ મહત્વની ભુમિકા નિભાવો છો. માં ભારતની રક્ષા માટે તમારું સાહસ,શોર્ય અને સમર્પણ બધાને પ્રેરિત કરનાર છે.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કરી વાયુસેના દિવસની શુભકામના આપી છે. રાજનાથ સિંહે કહ્યું કે, અમે આધુનિકરણ અને સ્વદેશીકરણ દ્વારા ભારતીય વાયુસેનાની યુદ્ધની ક્ષમતા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે કાંઈ પણ થાય ભારતીય વાયુસેના હંમેશા રાષ્ટ્રના આકાશની રક્ષા કરશે.