અમદાવાદ : AMCના DyMC સહિત 4 અધિકારીઓ આવ્યા ફરી કોરોનાની ઝપેટમાં, 5 માસ અગાઉ હતા સંક્રમિત
અમદાવાદમાં દિવાળી બાદ વકરેલા કોરોના સંક્ર્મણની ઝપેટમાં AMCના ડિવાયએમસી સહીતના કર્મચારીઓ પણ ઝપેટમાં આવ્યા છે, ત્યારે 3થી વધુ અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે આ અધિકારીઓને ફરી કોરોના થયો છે, તો છેલ્લા 8 દિવસમાં ભાજપના કોર્પોરેટર અમિત શાહ સહીત અનેક કોર્પોરેટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અમદાવાદની જનતાને કોરોનના ભરડામાંથી બચાવવા મથી રહી છે. તેના જ 60 જેટલા અધિકારી અને કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હેરિટેજ વિભાગના જનરલ મેનેજર વાસુદેવ નાયરનું કોરોનાના કારણે અવસાન થયું છે. તો અનેક વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓને ફરીવાર કોરોના થયો છે. દિવાળી પહેલા આ વિભાગમાં કોરોના સંક્રમણ વધ્યું છે અને દિવાળી બાદ બીજા વિભાગો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
ઓડિટ વિભાગ પુરવઠા વિભાગ પ્લાનિંગ વિભાગમાં સંક્રમણ એટલી હદે વધ્યું છે કે, તેને બંધ કરવાની ફરજ પડી છે. જોકે AMCમાં 6 માળ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે. આમ AMC કોરોનાનું શિકાર બન્યું છે. એસ્ટેટ વિભાગના એક અધિકારી સહીત 4 કર્મચારીઓને ફરીવાર કોરોના ચેપ લાગતા ચિંતા ફેલાઈ છે. અધિકારીઓ અને કર્મચારીઓને હોમ આઇસોલેશન કરી સારવાર આપવામાં આવી રહી છે. તો આરોગ્ય વિભાગના અનેક અધિકારીઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે.