અમદાવાદ : કરફ્યુના પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ થયા ડબલ, બજારમાં લોકોનો જોવા મળ્યો ધસારો
અમદાવાદ શહેરમાં આજ રાત્રે 9 વાગ્યાથી 57 કલાકના કર્ફ્યુનો અમલ શરૂ થશે, ત્યારે શહેરીજનો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા બહાર નીકળી પડ્યા છે. શહેરના અલગ અલગ માર્કેટોમાં સવારથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને શાકભાજીના માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અલગ અલગ માર્કેટોમાં પણ અમદાવાસીઓ ચીજવસ્તુઓ લેવા ઉમટી પડ્યા હતા. શહેરના પ્રહલાદનગર, કાલુપુર માર્કેટ, જમાલપુર માર્કેટ સહિતની વેજીટેબલ માર્કેટોમાં સવારથી શહેરીજનો ખરીદી કરવા નીકળી પડ્યા હતા.
જોકે અમદાવાદમા કરફ્યુની જાહેરાતના પગલે ચીજ વસ્તુઓના ભાવ ડબલ થઇ ગયા છે. શહેરીજનોએ પણ આ સમયમાં ભાવ વધ્યા હોવાની ફરિયાદ કરી છે. શહેરમાં માત્ર શાકભાજીની માર્કેટો નહિ પણ અનેક મોલમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આમ અચાનક કર્ફ્યુની જાહેરાતથી અમદાવાદવાસીઓમાં ગભરાહટ ફેલાયો છે, તો વિદેશથી આવનાર લોકો પણ હવે શું થશે તેની અસમંજસમાં મુકાયા છે.