અમદાવાદ : પુર્વ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કહયું : Bye Bye Ahmedabad
અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની આખરે ગ્રામ વિકાસ નિર્માણ વિભાગમાં બદલી કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ હવે મુકેશ કુમારને મ્યુનિસિપલ કમિશ્નર બનાવવામાં આવ્યાં છે.
અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કોરોનાના સંક્રમિત દર્દીઓને શોધી કાઢવા માટે આક્રમક ટેસ્ટીંગની રણનિતિ અપનાવી હતી. ટેસ્ટની સંખ્યા વધી જતાં એક પછી એક દર્દીઓ બહાર આવતાં ગયાં અને રાજયમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા હતાં. થોડા દિવસો અગાઉ વિજય નહેરા હોમ કવોરન્ટાઇન થઇ ગયાં હતાં. તેમનો કવોરન્ટાઇન પીરીયડ પુરો થાય તે પહેલાં રાજય સરકારે તેમની બદલી કરી નાંખી છે. અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મુકેશ કુમારને યથાવત રાખવામાં આવ્યાં છે. મુકેશ કુમારની મેરીટાઇમ બોર્ડમાં ખાલી પડેલી જગ્યા પર ભરૂચના કલેકટર રહી ચુકેલાં અવંતિકાસિંગની નિયુકતિ કરવામાં આવી છે. વિજય નહેરાની બદલી દ્રેષભાવથી કરવામાં આવી હોવાનું અમદાવાદીઓ માની રહયાં છે અને તેમની બદલીને રોકવાની માંગ ટવીટર પર ટ્રેન્ડ થઇ હતી. બદલી બાદ આખરે વિજય નહેરાએ મૌન તોડયું હતું તેમણે ટવીટના માધ્યમથી અમદાવાદની જનતાનો આભાર માન્યો હતો. તેમણે પોતાના ટવીટમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મારા સમયગાળાને સફળ અને યાદગાર બનાવવા બદલ આભાર અમદાવાદ. તમે બધાએ જે અદભૂત સમર્થન આપ્યું છે તેનાથી આપણે ભેગા મળીને 2 વર્ષની અંદર ઘણી વસ્તુઓ હાંસલ કરી શક્યા છીએ. મેં જે આપ્યું છે તેના કરતાં વધારે મને મળ્યું છે. તમે બધાએ મને જે પ્રેમ અને આદર આપ્યો છે તે બદલ આપ તમામનો આભાર. હું જે લાયક છું તેનાં કરતાં તે ખુબ જ વધારે છે. અમદાવાદ સિટી હવે હંમેશાના માટે અસ્તિત્વનો અવિભાજ્ય ભાગ બની રહેશે. બાય બાય અમદાવાદ.