અમદાવાદ : પોલીસ નાઇટ કરફયુના અમલમાં વ્યસ્ત, ગુનેગારોને મળ્યું મોકળું મેદાન
અમદાવાદમાં 31મી ડિસેમ્બરના રોજ રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એરકાર્ગો પાસે ત્રણેક લોકો બે કુરિયરવાળાને માર મારી 1.78 કરોડના સોનાનાં પાર્સલ લૂંટી લીધાં હોવાની ઘટના બની હતી.
શહેરના સરદારનગરમાં રહેતા વિદ્યાધર શર્મા મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ સુરેશકુમાર ચૌધરી સાથે મળી છેલ્લાં બે વર્ષથી જય માતાજી લોજિસ્ટિક અને જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપનીથી વેપાર કરે છે. તેમની આ કંપની સોના-ચાંદીના વેપારીઓનાં પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે. તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે. ગત 30મીએ લાખો રૂપિયાનાં પાર્સલ લઈ તેમનો એક કર્મચારી આવ્યો હતો.
આ પાર્સલ તેમણે દિલ્હી મોકલવાનાં હોવાથી અડધી રાત્રે તેઓ કાર્ગો તરફ જતા હતા. ત્યારે કાર્ગો ગેટથી થોડે જ દૂર કેટલાક લોકો બાઇક પર આવ્યા અને વિદ્યાધરભાઈ સાથે અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. ત્યારે ત્યાં કાર્ગોની એક કાર આવતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. લૂંટ કરનાર બાઇક લઈને એરકાર્ગો તરફ અંદરના ભાગે ભાગી ગયા હતા. એક પાર્સલમાં 34 લાખ રૂપિયાના દાગીના હતાં. બંને પાર્સલ મળી કુલ 1.78 કરોડ રૂપિયાની લુંટ ચલાવી લુંટારૂઓ ફરાર થઇ ગયાં હતાં.