અમદાવાદ : એક તરફી પ્રેમમાં પોલીસપુત્રએ કર્યો આપઘાત, પિતાએ આપ્યો હતો ઠપકો.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં 17 વર્ષીય પોલીસપુત્રએ એક તરફી થયેલ પ્રેમમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો
પોલીસ રક્ષક હોય છે, એ રક્ષક પોતાના પુત્રને ન બચાવી શક્યા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં 17 વર્ષીય પોલીસપુત્રએ એક તરફી થયેલ પ્રેમમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસ પિતાને દીકરાના પ્રેમ બાબતે જ્યારે ખબર પડી, ત્યારે પિતાએ ઠપકો આપ્યો હતો. જે બાબતે દીકરાને લાગી આવતા દીકરાએ તેના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કનૈયાલાલ પાટીલના પોતાના દીકરાને બચાવી શક્યા નહીં. કનૈયાલાલ પરિવાર સાથે ઉત્તરાખંડ ગયા હતા. પરંતુ તેમનો 17 વર્ષનો દીકરો ઘરે જ હતો. 17 વર્ષીય સગીરે ગળે ફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો. જે મામલે આસપાસના લોકોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે સ્થળ પર આવીને તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, સગીરને તેની સાથે જ સ્કૂલમાં ભણતી સગીરા સાથે એક તરફી પ્રેમ હતો. જે અંગે તેના પિતાએ ગત અઠવાડિયે ઠપકો આપ્યો હતો. જે બાબતે સગીરને લાગી આવતા સગીરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે પરિવારને જાણ કરતા પરિવાર ઉત્તરાખંડથી અમદાવાદ આવવા રવાના થયો હતો.