અમદાવાદ : યુવકની હત્યામાં ફિલ્મ આધારિત ઘટના સામે આવી, પોલીસ પણ મૂંઝવણમાં મુકાય...
નિકોલમાં વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી,
અમદાવાદના નિકોલમાં વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી, પરંતુ વેપારીની હત્યા વ્યાજખોરોએ ન કરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વેપારીની હત્યા કરનાર અને આરોપીને છુપાવનાર સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ સામે આવ્યું કે, હત્યા માત્ર એકબીજા સામે કેમ જોવે છે, તેવી સામાન્ય બાબત પર થઈ હતી.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં થોડા દિવસ પહેલા અમિત શાહ નામના યુવકને રેલિંગ પરથી ધક્કો મારવામાં આવ્યો હતો આ ઘટનામાં યુવકનું મોત થયું હતું પોલીસે આ મામલે હત્યાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી, ત્યારે આરોપીઓમાં વ્યાજખોરોના નામ સામે આવ્યા હતા. પણ આટલું જ નહીં સારવાર લઈ રહેલા વેપારી અમિત શાહની પૂછપરછ કરતા તેમણે ત્રણ વ્યાજખોરોના નામ આરોપી તરીકે લખાવ્યા હતા. જેમની પાસેથી મૃતકે 10% વ્યાજે રૂપિયા લીધા હતા. જે ફરિયાદ બાદ નિકોલ પોલીસે રાજભા અને કનુભાઈની ધરપકડ કરી હતી. જોકે, અન્ય એક આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા અને બનાવ અંગેની અસલી હકીકત સામે આવતા હત્યા કરનાર રાજુ અને તેને છુપાવનાર હિતેશ પૂનમચંદની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓ રજ્જુ ઉર્ફે રાજુ ગૌડ અને હિતેશ પુનમચંદ મૃતક વેપારી અમિત શાહની દુકાન પાસે ફર્નિચરનું કામ કરતા હતા, અને હત્યાના દિવસે એટલે કે, 10 તારીખે વેપારી અમિત શાહ દુકાનની બહાર રેલિંગ પર બેઠા હતા. તે સમયે આરોપી સામે કેમ જોઈ રહ્યાં છો. તે બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થતા આરોપી રાજુ મૃતકને ફેટ મારી નીચે પાડ્યા હતા. પણ વ્યાજખોરીના ફરિયાદના આધારે તપાસ શરૂ કરનાર પોલીસ હવે મૂંઝવણમાં મુકાઈ છે. કારણ કે, હત્યા કરનાર અને ઊંચું વ્યાજ વસુલ નાર બંને આરોપીઓ અલગ અલગ છે, ત્યારે આ ગુનામાં ઝડપાયેલા ચાર આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, હત્યા કરનાર અને વ્યાજે રૂપિયા આપનાર આરોપીઓ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ ?