અમરેલી : અનિડા ગામે કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, વન વિભાગ દ્વારા રેસક્યું હાથ ધરાયું
અમરેલી જીલ્લાના અનિડા ગામે આવેલ વાડીના કૂવામાં ખાબકી જતાં એક સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને બહાર કાઢવા માટે રેસક્યું હાથ ધરાયું હતું.
મળતી માહિતી અનુસાર, ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જના અનિડા ગામના ખેડૂત બાબુ ફિડોલીયાની વાડીમાં રાત્રી દરમ્યાન અવાવરુ જગ્યામાં આવેલા 55 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી જતા એક સિંહણનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા વન વિભાગને કરાતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
સમગ્ર બનાવના પગલે અમરેલી આરએફઓ પરિમલ પટેલ, ફોરેસ્ટ શેલના હરદીપ વાળા, ઇમરાનખાન પઠાણ, ટ્રેકર જીતુભાઇ અને મનુભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી કૂવામાં પડેલ સિંહણના મૃતદેહને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધાર્યું હતું. કલાકોની જહેમત બાદ સિંહણના મૃતદેહને બહાર કાઢવામાં વન વિભાગને સફળતા મળી હતી, ત્યાર બાદ આશરે 5થી 6 વર્ષીય જણાતા સિંહણના મૃતદેહને પીએમ અર્થે ખાંભા રેન્જ ઓફીસ ખાતે ખસેડવામાં આવ્યો હતો.