આણંદ : પતંગ બજારમાં મંદીના માહોલ વચ્ચે ખંભાતના વેપારીઓનો છેલ્લી ઘડીની ખરીદી પર મદાર
ખંભાતમાં 200થી વધારે પતંગના ગૃહઉદ્યોગ
ચાલુ વર્ષે
પતંગના ભાવમાં 20 ટકાનો વધારો
થયો હોવા છતાં છેલ્લી ઘડીએ ઘરાકી નીકળવાની આશા ખંભાતના વેપારીઓ રાખી રહયાં છે.
રાજયભરના પતંગ રસિયાઓમાં ખંભાતના પતંગ લોકપ્રિય છે.
આકાશી
યુધ્ધના પર્વ ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ અને દોરીના
બજારમાં ચહલપહલ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે પતંગો અને દોરીના કાચા માલની કિમતમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૦ ટકાનો
વધારો થતા ખંભાતમાં પંતગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અને
કારીગરો છેલ્લી ઘડીની ખરીદી પર મદાર રાખીને બેઠા છે. ગુજરાત સહીત સમગ્ર ભારતમાં ઉત્તરાયણના પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ
છે અને તેમાં ખંભાતમાં બનેલાં ખંભાતી પતંગોની માંગ વધુ પ્રમાણમાં રહેતી હોય છે. ખંભાત શહેર પતંગ ઉદ્યોગનું હબ ગણાય છે અને
શહેરમાં ૨૦૦ ઉપરાંત ગૃહ ઉદ્યોગમાં ૨,૦૦૦ જેટલા કારીગરો ખંભાતી અને લેટેસ્ટ
ટ્રેન્ડ પ્રમાણેની પતંગ બનાવતાં હોય છે. ખંભાતમાં બનેલી પતંગોની રાજય અને દેશના
જુદા જુદા શહેરમાં નિકાસ કરવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે પતંગ બનાવવામાં વપરાતા કમાન ,ગુંદર ,કાગળના ભાવમાં ૧૦ ટકાથી ૨૦ ટકાનો વધારો
થયો છે બીજી તરફ પંતગ બનાવનાર કારીગરોના વેતનમાં વધારો થયો છે જેથી પંતગ ઉત્પાદકો
ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં પતંગોની કિમતમાં પણ ૧૦ ટકા નો વધારો કરી વેચી
રહ્યા છે .જયારે દોરી પીસવાના કાચા માલમાં પણ ભાવ વધારો થયા દોરી પીસતા કારીગરોને
મંદીનો ડર સતાવી રહ્યો છે .અત્યારે રાજ્યના જુદા જુદા ભાગોમાંથી ગ્રાહકો પતંગ
ખરીદવા ખંભાત આવી રહ્યા હોવાથી વેપારીઓ સારો ધંધો થવાની આશા સેવી રહયાં છે.