આણંદ : તારાપુર રાઈસ મિલ એસોસીએશન આવ્યું લડાયક મૂડમાં, APMC માર્કેટ યાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ
વેટ વિનાની કુસકીના વેચાણ પર 5% જેટલો વેટ ઝીંકાતા આણંદ
જિલ્લાના તારાપુર રાઈસ મિલ એસોસીએશનના સભ્યો લડાયક મૂડમાં આવી અચોક્કસ મુદ્દતની
હડતાલ ઉતાર્યા છે. કુસકી પર વેટની નોટિસના વિરોધમાં તારાપુર APMC માર્કેટ યાર્ડ અને રાઈસ મિલો બંધ રાખવામાં આવી હતી.
વર્ષ 2015થી આજ દિન સુધીના કુસકીના વેચાણ પર 5% વેટ ઝીંકાતા તારાપુર રાઈસ મિલ માલિકો તથા વેપારી મંડળમાં રોષ જોવા મળ્યો છે. અગાઉ આ મામલે
સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકારે ન સાંભળતા
વેપારીઓએ હડતાળનું હથિયાર ઉઠાવ્યું છે. રાઈસ મીલ તથા વેપારીઓની હડતાળના પગલે તારાપુર APMC માર્કેટ યાર્ડને અચોક્કસ મુદ્દત માટે બંધ
રાખી છે. હડતાળના કારણે ડાંગરના વેચાણ અર્થે આવેલ ધરતીપુત્રો વિલા મેઢે પરત ફરી
રહ્યા હતા. દર વર્ષે જાન્યુઆરીમાં ડાંગરના વધુ ભાવ મળે છે, તે આશાએ ખેડૂતો ડાંગરના
વેચાણ અર્થે અહીં આવે છે. પરંતુ વેપારીઓની હડતાળના પગલે ખેડૂતોએ માલ વેચ્યા વિના
પરત ફરવાનો વારો આવ્યો હતો.