અંકલેશ્વરઃ ગોલ્ડન બ્રિજ પાસે યુવક ડૂબ્યો હતો, 24 કલાક બાદ પણ નથી કોઈ પત્તો
ગણેશ વિસર્જન માટે આવેલો બજરંગ નગરનો યુવક ડૂબતાં તંત્રની ટીમનાં 21 સભ્યો દ્વારા ચાલી રહી છે શોધખોળ
નર્મદા નદીનાં અંકલેશ્વર છેડે ગોલ્ડન બ્રિજ ખાતે ગતરોજ ગણેશ વિસર્જન કરવા આવેલો બજરંગ નગરનો યુવક ડૂબી ગયો હતો. તંત્રની ટીમનાં 21 સભ્યો દ્વારા 24 કલાકના સર્ચ ઓપરેશન બાદ પણ યુવકનો મૃતદેહ મળ્યો નથી. અંકલેશ્વરનાં એસ.ડી.એમ રમેશ ભગોરા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ ખાતે ગણેશ વિસર્જન માટે રવિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં ગાડખોલ પાટિયા પાસેના બજરંગ નગરમાં રહેતા 25 વર્ષીય ફુલચંદ મોર્યા સ્થાનિક રહીશો સાથે ગયો હતો. જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન તે નદીમાં ડૂબી ગયો હતો. જેના પિતા દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા ફાયરની ટીમ તેમજ તટરક્ષક તરવૈયાની 21 સભ્યોની 3 ટીમ બનાવી મોડી સાંજથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે મોડી રાત્રી તેમજ બીજા દિવસે પણ સર્ચ કર્યા છતાં મૃતદેહનો કોઈજ પત્તો લાગ્યો નથી. આ અંગે એસ.ડી.એમ રમેશ ભગોરાએ જણાવ્યું હતું કે, હાલ 3 ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. હજી સુધી મૃતદેહ મળ્યો નથી.