અંકલેશ્વર : કોરોનાની ચેઇન તોડવા સાત દિવસના લોકડાઉનનો નિર્ણય પડતો મુકાયો
અંકલેશ્વરમાં કોરોના વાયરસના 159થી વધારે કેસ નોંધાય ચુકયાં હોવાથી પાલિકા સત્તાધીશોએ સાત દિવસ માટે લોકડાઉનની વિચારણા કરી હતી. પણ કેટલાક વેપારીઓ દુકાનો બંધ રાખવા સહમત નહિ થતાં લોકડાઉનનો નિર્ણય પડતો મુકાયો હતો.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1,000ને પાર કરી ચુકી છે અને તેમાં અંકલેશ્વરના 159 જેટલા કેસોનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અંકલેશ્વર નગરપાલિકા સત્તાધીશોએ સાત દિવસ માટે શહેરમાં લોકડાઉન આપવાની વિચારણા કરી હતી. જેના સંદર્ભમાં ગુરૂવારના રોજ પાલિકા કચેરી ખાતે વિવિધ વેપારી મંડળો અને પાલિકા સત્તાધીશો વચ્ચે બેઠક મળી હતી. જેમાં કોરોના વાયરસની ચેઇન કેવી રીતે તોડી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી પણ કેટલાક વેપારીઓ તેમની દુકાનો બંધ નહિ રાખવા માટે મકકમ રહયાં હતાં જેના પગલે લોક ડાઉનનો નિર્ણય પડતો મુકવામાં આવ્યો હતો.