અમદાવાદ : અયોધ્યામાં રામમંદિરના નિર્માણની તૈયારીઓ શરૂ, જુઓ શું છે વિહિપનું આયોજન
રામ જન્મભુમિ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. દેશના 64 કરોડ હીંદુ સમાજના લોકોનો સંપર્ક કરીને મંદિર નિર્માણ માટે પૈસા એકત્ર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
અયોધ્યામાં રામમંદિરના નિર્માણના અભિયાનને લઈ હવે સંગઠન સાથે જોડાયેલા લોકોને જવાબદારી અપાઈ રહી છે. વિહીપના જિલ્લા, નગર, બ્લોકથી લઈને ગ્રામ પંચાયતો સુધી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિઓની રચના કરાઈ રહી છે, જે સંપૂર્ણ પારદર્શકતા સાથે મંદિર માટે ધન એકત્ર કરશે. દાન રાશિનું સંપૂર્ણ વિવરણ મંદિર ટ્રસ્ટ ઓનલાઈન પણ આપશે તો સાથે જ 1 લાખનું દાન આપનારને રામ મંદિરની ફોટો ફ્રેમ અને 1 કરોડનું દાન આપનારને રામ મંદિરની પ્રતિકૃતિ આપવામાં આવશે.
જનસંપર્ક અભિયાન 15 જાન્યુઆરીના રોજથી શરૂ થશે અને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નેતા અશ્વિન પટેલે જણાવ્યું હતું કે અયોધ્યામાં જ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે તેનું બાંધકામ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના નામે થવાનું છે. રામમંદિરના નિર્માણ માટે હીંદુ સમાજના લોકોને ખુલ્લા હાથે દાન આપવા અપીલ કરવામાં આવી રહી છે.