બનાસકાંઠા : ઉતરાયણ બાદ જીવદયા પ્રેમીએ હાથ ધર્યું અનોખુ અભિયાન, જુઓ પક્ષીઓ માટે શું કર્યું..!
બનાસકાંઠા જિલ્લાના જીવદયા પ્રેમી યુવાન દ્વારા એક અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઉતરાયણ પર્વે લોકો પતંગ-દોરી ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, ત્યારે આ દોરીના ગુચ્છાને 50 રૂપિયે કિલોના ભાવે ખરીદ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ઉતરાયણ પર્વના સમયગાળા દરમ્યાન પતંગ-દોરીથી ઘવાતા પક્ષીઓનો જીવ બચાવવા માટે અનેક સેવાભાવી લોકો પ્રયત્નો કરતા હોય છે, ત્યારે પાલનપુર-ધનિયાણા ચોકડી નજીક રહેતા સેવાભાવી યુવાન અને પશુ આહારના વ્યવસાય સાથે સંકળાયેલા નિકુલ પટેલ દ્વારા પક્ષીઓનો જીવ બચાવવા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરમાંથી 50 રૂપિયે કિલોના ભાવે દોરીના ગુચ્છા ખરીદી જીવદયાનું ઉમદા કાર્ય શરૂ કરાયું છે.
નિકુલ પટેલે જણાવ્યુ હતું કે, ઉતરાયણ બાદ લોકો દોરીના ગુચ્છાને ગમે ત્યા ફેંકી દેતા હોય છે. જેના કારણે કોઇ પક્ષીના પગમાં દોરી ફસાઇ જવાથી ઝાડ કે, વીજ વાયરોમાં ફસાઇ જવાના કારણે પક્ષીઓનું મોત નીપજતું હોય છે. જેથી પશુપ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા દોરી એકત્ર કરવા માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રૂપિયા 50ના ભાવે દોરીનો ગુંછો ગુચ્છો ખરીદવામાં આવશે, તેવો પ્રચાર કરવામાં આવ્યો હતો, ત્યારે લોકોના સાથ સહકારથી એક કોથળો ભરાય તેટલા દોરીના ગુચ્છા ભેગા કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.