ભરૂચ : નેત્રંગ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી
ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે. જેમાં બેકાબૂ ટ્રકના ચાલકે 3 જેટલા બાઇકસવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મંગળવારના રોજ બપોરના સમયે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી ટાઇલ્સ ભરીને એક ટ્રક ભરૂચના નેત્રંગ તરફ આવી રહી હતી. તે દરમ્યાન ધાણીખૂંટ ગામ નજીક નેત્રંગથી ડેડીયાપડા જઇ રહેલ 3 જેટલી અલગ અલગ બાઇક પર સવાર લોકોનને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જોકે ટ્રક ચાલકે સ્ટીયંરિંગ પરનો કાબૂ ગુમાવતા એક પછી એક ત્રણેય બાઇક સવારને ટકકર મારી હતી, ત્યારે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં હાલ સુધીમાં 3 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. મૃતકો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના તુલી ગામના વતની હોવાનું પણ બહાર આવ્યું છે. બનાવની જાણ થતા જ નેત્રંગ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. ઉપરાંત ટ્રક નીચે ફસાયેલ અન્ય બાઇક ચાલકોને રેસક્યું ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યા હતા. અને તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતાં હાલ તો નેત્રંગ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.