ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત, તંત્ર નિન્દ્રાધિન અવસ્થામાં
માર્ગો ઉપર હરાયા ઢોરોનો અડિંગો વાહન ચાલકો માટે આફત બની ગયો છે.
ભરૂચ શહેરનાં મુખ્ય માર્ગો ઉપર રખડતા પશુઓનો ત્રાસ અત્યંત વધી રહ્યો છે. જેનો વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. બીજી તરફ પશુ માલિકો દ્વારા પણ પોતાના પશુઓને રસ્તા ઉપર છૂટા મૂકી દેતા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર મુક પ્રેક્ષકની જેમ કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈને નિંન્દ્રાધિન અવસ્થામાં બેઠું હોય તેવું લાગી રહ્યું છે.
હાલ રાજ્યભરમાં ટ્રાફિક નિયમનને અને ગેરકાયદે દબાણોને લઈને ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ નગર પાલિકા તંત્ર જાણે નિન્દ્રાધિન અવસ્થામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. પાલિકા વિસ્તારમાં રહેતા લોકોનું માનીએ તો રોજે રોજ રસ્તાઓ ઉપર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી જાય છે. ત્યારે શહેરનાં માર્ગો પશુઓ માટે બન્યા છે કે પછી વાહન ચાલકો માટે તેવો સવાલ પણ નગરજનો પાલિકાને પુછી રહ્યા છે.
પશુપાલકો દ્વારા જાણે તેમનું કામ પતિ ગયા પછી પોતાનાં પશુઓને છુટ્ટા મૂકી દેવામાં આવે છે. જે પશુઓ રસ્તાઓ ઉપર આવી જતાં વાહન ચાલકોને જોખમ ઊભું થઈ રહ્યું છે. આવા સંજોગોમાં પશુપાલકો પણ પોતાનાં પશુઓને યોગ્ય સ્થળે રાખી દિવસ દરમિયાન ચરાવવા માટેની વ્યવસ્થા કરે. અને જો કોઈ માલિક ન હોય તો પાલિકા તંત્રએ રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવા જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે.