ભરૂચ : AIMIMના અધ્યક્ષ અસાઉદ્દીન ઓવેસીની રવિવારે જાહેરસભા, જુઓ કેવી છે તૈયારી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરી સૌને ચોંકાવી દીધાં છે ત્યારે રવિવારના રોજ ભરૂચની મનુબર ચોકડી ખાતે ગઠબંધનની પ્રથમ જાહેરસભા યોજાવા જઇ રહી છે. જેમાં એઆઇએમઆઇએમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસાઉદ્દીન ઓવેસી પણ હાજરી આપશે. અસાઉદ્દીન ઓવેસીની ગુજરાત ખાતે આ પ્રથમ જાહેરસભા છે.
ગુજરાત તથા રાજસ્થાનમાં આદિવાસી વિસ્તારોમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીનું વર્ચસ્વ વધી રહયું છે તેવામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ અચાનક જ એઆઇએમઆઇએમ સાથે ગઠબંધન કરી લેતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ગઠબંધનની સીધી અસર કોંગ્રેસની લઘુમતી વોટબેંક પર થવા જઇ રહી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચુંટણીઓનું રણશિંગુ ફુંકાય ચુકયું છે ત્યારે લઘુમતી સમાજની મહત્તમ વસતી ધરાવતાં ભરૂચ જિલ્લામાં ગઠબંધનની પ્રથમ જાહેરસભા યોજવા જઇ રહી છે. ભરૂચની મનુબર ચોકડી ખાતે રવિવારે સવારે 11 વાગ્યે જાહેરસભાનું આયોજન કરાયું છે. જેમાં એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસાઉદ્દીન ઓવેસી, બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા, સહસંયોજક છોટુભાઇ વસાવા સહિતના આગેવાનો હાજર રહેશે. અસાઉદ્દીન ઓવેસી લઘુમતી સમાજ પર વર્ચસ્વ ધરાવે છે ત્યારે તેમની જાહેરસભાને કારણે કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પડવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. હાલ તો અસાઉદ્દીન ઓવેસીની ગુજરાતમાં પ્રથમ જાહેર સભાને લઇ બીટીપી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.