ભરૂચ : જમીન સંપાદન માટે જંત્રીના ભાવોમાં વિસંગતતા, ખેડુતોએ કરી રજુઆત
ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત જમીનના ખેડુતોએ વળતર બાબતે શહેર કાર્યાલય ખાતે વાગરાના ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે. કાંઠા વિસ્તારના ખેડુતોએ જંત્રીના ભાવમાં વિસંગતતા હોવાથી પોતાની નારાજગી ધારાસભ્ય સમક્ષ રજુ કરી હતી.
ભરૂચ જિલ્લાના વડવા, દશાન, વેરવાડા તેમજ કુકરવાડા ગામના ખેડૂતો આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર “ભાડભૂત બેરેજ યોજના”મા નદી કિનારાની બૌડાના કાર્યક્ષેત્રમાં આવતી નદીકિનારાની ફળદ્રુપ જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે જે અંગેનું એક જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. ભરૂચ-ભાડભૂત નર્મદા કિનારાની બન્ને તરફ પાળા બનાવવાની યોજનામાં જમીન સંપાદન કાર્યવાહી અંગે અમારી કોઈ સંમતી લેવામાં આવી નથી.
હાલમાં એક્ષપ્રેસ હાઈવે માટે દહેગામની સંપાદિત જમીનની જંત્રી કરતા વધુ વળતર આપવામા આવ્યું છે.વડવા, દશાન, વેરવાડા તેમજ કુકરવાડાના ખેડૂતોની કાસવા ખાતે ચુકવેલ વળતર કરતા ભરૂચ શહેરની નજીક, નદીકિનારે, ફાર્મહાઉસ માટેની કિંમતી જમીન હોય વધુ વળતર માટે માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી.જે અંગે ધારાસભ્યએ રજૂઆતને યોગ્ય રીતે પહોંચાડવાની ખાતરી આપી હતી.