ભરૂચ : લોકડાઉન બાદ પ્રથમ વખત ખુલશે ચર્ચ, માસ્ક વિના નહિ અપાય પ્રવેશ
પ્રભુ ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના પર્વ નાતાલની શુક્રવારના રોજ ઉજવણી કરાશે પણ કોરોના વાયરસને સંક્રમણને ધ્યાનમાં રાખી ભરૂચમાં ચર્ચમાં મર્યાદીત લોકોને અને તેમને પણ ફરજિયાત માસ્ક પહેરીને આવવા માટે અપીલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી ના કારણે અનેક તહેવારો અને પ્રસંગો તથા ઉત્સવોની ઉજવણી મર્યાદીત રીતે કરવાની ફરજ પડી રહી છે. શુક્રવારના રોજ ખ્રિસ્તી બંધુઓ તેમના પરંપરાગત પર્વ નાતાલની ઉજવણી કરશે. નાતાલ પહેલાં ખ્રિસ્તી પરિવારોએ તેમના ઘરોની બહાર રોશની અને અંદર ક્રિસમસ ટ્રી સજાવી દીધાં છે.
ભરૂચમાં આવેલાં દેવળોને લોકડાઉન બાદથી બંધ કરી દેવામાં આવ્યાં છે. લોકડાઉન બાદ શુક્રવારના રોજ નાતાલના દિવસે પ્રથમ વખત દેવળોને ખોલાશે. નાતાલની પ્રાર્થના માટે મર્યાદીત લોકોને અને તેમને પણ ફરજિયાત માસ્ક પહેરી આવવા માટે પાદરીએ અનુરોધ કર્યો છે. ખાસ કરીને દસ વર્ષથી નાના બાળકો અને સિનિયર સિટીઝન્સને ચર્ચમાં નવી આવવા માટે અપીલ કરવામાં આવી છે.