ભરૂચ : કોરોના વાયરસને રોકવા જિલ્લામાં “Lock Down”, વધુ નિયંત્રણો મુકાયાં
વડોદરા અને સુરતની વચ્ચે આવેલાં ભરૂચ જીલ્લામાં પણ આખરે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે કેટલાક વધારે નિયંત્રણો મુકી દેવાયાં છે. લોકડાઉનની જાહેરાત બાદ ભરૂચના નેશનલ હાઇવે પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.
સોમવારે સવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત કોરોના વાયરસના નિર્ણાયક તબકકામાંથી પસાર થઇ રહયું હોવાનું જણાવ્યું હતું. વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, કચ્છ અને વડોદરા બાદ હવે ભરૂચમાં પણ કેટલાક વધારાના નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. વહીવટીતંત્રએ બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત ભરૂચના સમગ્ર મહેસુલી વિસ્તારમાં આવશ્યક અને જીવન જરૂરીયાતની વસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને શોરૂમ બંધ રાખવાના રહેશે.આ ઉપરાંત ધાર્મિક સ્થળોએ ભીડભાડ ન થાય તે માટે સરકાર તરફથી આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
બાગ-બગીચાઓ તથા ધાર્મિક મેળાવડાઓ તારીખ 31મી માર્ચ સુધી સદંતર બંધ રાખવામાં આવશે. કતલખાનાઓ અને માંસના વેચાણને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાનું રહેશે. તંત્રએ બહાર પાડેલા જાહેરનામામાંથી અમુક અપવાદ રાખવામાં આવ્યાં છે. ભરૂચમાં લોકડાઉનની જાહેરાતની સાથે નેશનલ હાઇવે પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. મુલદ ટોલપ્લાઝા ખાતે વાહનોની કતાર લાગી છે. બીજી તરફ ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ લોકોને ઘરની બહાર નહી નીકળવા અને પોલીસને તેમની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે.