ભરૂચ : નવરાત્રી મહોત્સવને મર્યાદા સાથે મંજુરી આપવા કલાકારોની માંગણી
કોરોના વાયરસના કહેરના કારણે બેકાર બનેલાં કલાકારો તથા સાઉન્ડ સીસ્ટમના સંચાલકોએ ભરૂચમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. તેમણે સામાજીક પ્રસંગો તેમજ નવરાત્રી મહોત્સવને મર્યાદા સાથે મંજુરી આપવાની માંગણી કરી છે.
કોરોના વાયરસના કહેરના કારણે સામાજીક જીવનની સિકલ બદલાય ચુકી છે. એક સમયે જયાં તહેવારોની રોનક હતી ત્યાં આજે તહેવારો રસવિહોણા બની ચુકયાં છે. આદ્ય શકિત મા જગદંબાની આરાધનાના પર્વની ઉજવણીની મંજુરી માટે હજી વિચારણા ચાલી રહી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે સામાજીક પ્રસંગો અને તહેવારોની જાહેર ઉજવણી પર પાબંધીની સૌથી વધારે અસર કલાકારો, ફરાસખાના સંચાલકો અને સાઉન્ડ સીસ્ટમના સંચાલકો પર જોવા મળી રહી છે. માર્ચ મહિનાથી લાદવામાં આવેલાં લોકડાઉન બાદ આ તમામ બેકારીના ખપ્પરમાં હોમાય ગયાં છે. ગણેશ ઉત્સવ બાદ હવે નવરાત્રીના આયોજન સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ભરૂચના કલાકારો તથા સાઉન્ડ સીસ્ટમના સંચાલકોએ આગામી નવરાત્રી મહોત્સવને અમુક મર્યાદાઓ સાથે તથા લગ્ન સહિતના સામાજિક ઉત્સવોમાં ગીત- સંગીત અને સાઉન્ડ સિસ્ટમને મંજુરી આપવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે…..