ભરૂચ : નર્મદા નદીના કિનારે ગંદકીની ભરમાર, યુવાવર્ગે ઉપાડયું સફાઇનું બિડુ
કાકા કાલેલકરે કહયું છે ગંગા નદીમાં સ્નાન કરવાથી માનવીના પાપો ધોવાઇ જાય છે પણ શિવપુત્રી નર્મદાના દર્શન માત્રથી માનવીના તમામ પાપો નષ્ટ પામે છે. નર્મદા નદી ખાતે આવેલાં ઘાટો અને મંદિરો ખાતે રોજના હજારો લોકો સ્નાન તેમજ અન્ય ધાર્મિક વિધિઓ માટે આવતાં હોય છે. નર્મદા નદીના જળ તથા કિનારાઓ પર કચરાઓના ઢગ જોવા મળી રહયાં છે. કિનારાઓ પર ફેલાયેલી ગંદકી નર્મદા મૈયાની માહત્મય ઘટાડી રહી હોય તેમ લાગી રહયું છે.
પાવન સલિલા મા નર્મદાના શુધ્ધિકરણ માટે ભરૂચના યુવાવર્ગે એક અભિયાન શરૂ કર્યું છે. હીરલ પંડયા તથા તેમના મિત્રવર્તુળ તરફથી રોકડીયા હનુમાન દાદાના આર્શીવાદ સાથે સફાઇ અભિયાનની શરૂઆત કરી છે. અભિયાનના પ્રથમ દિવસે ગોલ્ડનબ્રિજની નીચેના વિસ્તારમાં બે કલાક સુધી સફાઇ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળી નર્મદા નદી કંટીયાજાળ નજીક અરબી સમુ્દ્રમાં સમાય જાય છે. શાસ્ત્રો તથા પુરાણોમાં નર્મદા નદીનું અદકેરૂ ધાર્મિક મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. નર્મદા નદીને સ્વચ્છ બનાવવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અભિયાનના પ્રણેતા હીરલ પંડયાએ જણાવ્યું હતું કે, નર્મદા નદી કિનારે ગંદકીની વાતો તો સૌ કોઇ કરે છે પણ સફાઇ માટે જુજ લોકો આગળ આવે છે ત્યારે અમે સફાઇનો સંકલ્પ લીધો છે. અમારી ટીમના બધા સભ્યો નોકરીયાત હોવાના કારણે અમે મહિનામાં એક દિવસ બે કલાકથી વધુનો સમય ફાળવીશું અને તે સમયગાળામાં નર્મદા નદીના કિનારાઓ તથા ઘાટોની સફાઇ કરીશું. જે કોઇ વ્યકતિ અમારા અભિયાનમાં સહભાગી બનવા માંગતા હોય તે અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @drkhusbhupandya અને @hiral_pandya પર સંપર્ક કરી શકે છે. સફાઇ અભિયાન અંતર્ગત થનારી કામગીરી ઇનસ્ટાગ્રામ હેન્ડલ પર પ્રસિધ્ધ કરી અન્ય લોકોને પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવશે....