ભરૂચ : પતંગ ભલે ચગાવો પણ પક્ષીઓ પ્રત્યે દાખવજો "કરુણા"
ભરૂચ શહેરમાં વન વિભાગ દ્વ્રારા કરુણા
અભિયાન અંતર્ગત લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉતરાયણ પર્વ દરમ્યાન લોકો પોતાના મોજશોખ માટે આકાશમાં પતંગ
ચગાવતા હોય છે, ત્યારે ખુલ્લા આકાશના દરિયામાં મન મૂકીને ડૂબકી લગાવતા હજારો પક્ષીઓને
પતંગ-દોરાથી ઇજાઓ પણ પહોંચે છે. ઘણી વાર ગંભીર રીતે ઘાયલ થવાથી પક્ષીઓના મોત પણ
થાય છે, ત્યારે ભરૂચ વન
વિભાગ દ્વારા લોકોમાં આ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ
કરવામાં આવ્યો છે. કરુણા અભિયાન અંતર્ગત 150થી પણ વધુ વાહનો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું.
જે રેલી શહેરની શ્રવણ ચોકડીથી વિવિધ વિસ્તારોના માર્ગો
પર નીકળી હતી.
ભરૂચના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલી કરુણા અભિયાન રેલીમાં વન વિભાગના અધિકારી એ. એલ. પટેલ, ભાવના
દેસાઈ, એ.સી.એફ સહિત વન વિભાગના અધિકારીઓ, વાઈલ્ડ
લાઈફના કાર્યકરો ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા.