ભરૂચ : ઝઘડીયાની વીજ કચેરીને ખેડૂતોએ માથે લીધી, જાણો શું છે કારણ..!
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલી પૂરની સ્થિતિ બાદ ખેતી વિસ્તારમાં વીજ પોલ તૂટી પડતાં છેલ્લા 15 દિવસથી પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે ઝઘડીયા ગામે વીજ કચેરી ખાતે ખેડૂતોએ હલ્લાબોલ સાથે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જીલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને મોટું નુકશાન થયું છે. એક તરફ ખેડૂતોને થયેલા નુકશાન અંગે સરકાર દ્વારા સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની તૈયારી બતાવાઈ છે, ત્યારે હવે બીજી તરફ ખેડૂતોને જાણે પડતાં પર પાટુ વાગ્યું હોય તેવો હાલ થયો છે.
ઝઘડીયા તાલુકાના આસપાસના વિસ્તારોમાં ખેતી વિસ્તારની બદતર હાલતથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જેમાં છેલ્લા 15 દિવસ ઉપરાંતથી ખેતી લાયક વિસ્તારોમાં વીજ પોલ પડી ભાંગતા વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે, ત્યારે ખેડૂતોને પાણી નહીં મળતા ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોચી જવા પામ્યો છે. જોકે વીજ કંપની દ્વારા રાણીપુરા, ઉંચેડીયા અને ગોવાલી ગામના ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નહીં લવાતા ખેડૂતોએ ઝઘડીયા વીજ કચેરીને માથે લીધી હતી, ત્યારે સમગ્ર મામલે વીજ અધિકારી દ્વારા ક્ષતિ નિવારણ કરવાની ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી.