ભરૂચ : ઝઘડીયામાં તસ્કરોએ લાખોના મત્તાની ચોરીને આપ્યો અંજામ, પોલીસ વિભાગ થયું દોડતું
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં તસ્કરોને જાણે પોલીસનો પણ ડર
ન રહેતા છૂટ્ટોદોર મળ્યો હોય તેમ જણાઈ આવ્યું છે. ઝઘડીયાની મારુતિ રેસિડેન્સીના 2
મકાનના તાળાં તોડી અંદાજે રૂપિયા 3.04.000/-નો મુદ્દામાલ પર હાથ ફેરો કરી તસ્કરો
ફરાર થઈ ગયા હતા.
ઝઘડીયાના રાણીપુરા ગામે થોડા દિવસ અગાઉ રૂપિયા 8
લાખની ચોરી સામે આવી હતી, ત્યારે ફરી ઝઘડીયાની મારુતિ રેસિડેન્સીના 2 મકાનના
તાળાં તોડી ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, ઝઘડીયાની મારુતિ
રેસિડેન્સીના મકાન નં. 32માં રહેતા ચંદ્રકાંત વસાવા કે, જે પોતે ઝઘડીયા GIDC ખાતે આવેલ UPL કંપનીમાં નોકરી કરે છે. જે ગતરોજ નાઈટ સિફ્ટ કરી પોતાના ઘરે પરત ફરતાં
મકાનના દરવાજાનું તાળું નચુકા સાથે તોડી નાંખેલ જણાઈ આવ્યું હતું. તેઓ મકાનની અંદર
પ્રવેશ કરતાં બેડરૂમમાં મુકેલી તિજોરીનો દરવાજો તૂટેલી તેમજ તમામ સામાન વેરવિખેર
હાલતમાં જોવા મળ્યો હતો. તેઓએ તિજોરીની તપાસ કરતાં તેમાં મૂકેલું સોનાના દાગીનાનું
બોક્સ ખાલીખમ હતું, ત્યાર બાદ તેઓને પોતાના મકાનમાં
ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તેમની તિજોરીમાંથી
2.5 તોલાનું એક સોનાનું મંગલસૂત્ર, 2 તોલાની સોનાની કાનની 4 જોડી બુટી અને જડ, 11 તોલાની 2
સોનાની ચેઈન તથા 1 તોલાની સોનાની 2 વીંટી મળી કુલ 7.5 તોલા સોનાના દાગીનાની
અંદાજિત કિમત રૂપિયા 3.04.000/-ના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ
મામલે ઝઘડીયા પોલીસ સ્ટેશનને જાણ થતાં ઝઘડીયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી
વધુ તપાસ હાથ ધરી તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરી હતી.