ભરૂચ : ભારત વિકાસ પરિષદની ભ્રૂગુભુમિ શાખાનો પ્રારંભ, ઓનલાઇન માધ્યમથી કરાયું ઉદઘાટન
ભરૂચ શહેર તથા જિલ્લામાં સેવાકીય પ્રવૃતિઓ અને કાર્યોને વેગ આપવા માટે ભારત વિકાસ પરિષદની નવી ભુગુભુમિ શાખાનો રવિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી શાખાનો ઉદઘાટન સમારંભ ઓનલાઇન રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સંપર્ક પ્રોજેકટના વાઇસ ચેરમેન વલ્લભભાઇ રામાણી, રીજીયોનલ ચેરમેન અશોકભાઇ કુલકર્ણી, ભારત વિકાસ પરિષદના મધ્ય પ્રાંતના પ્રમુખ ફાલ્ગુન વોરા, મહામંત્રી પ્રકાશ કસવાલા, દક્ષિણના વિભાગીય મંત્રી રક્ષિત પરીખ, સહમંત્રી રણજીતભાઇ ચૌધરી, સંયોજક સુનિલ ભટ્ટ અને સહ સંયોજક યોગેશ પારીક સહિતના હોદ્દેદારો અને સભ્યો ઓનલાઇન માધ્યમથી જોડાયાં હતાં. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સંસ્થાની નવી શાખાના પ્રારંભે તમામને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માધ્યમ સુધી પહોંચાડવા માટે ભારત વિકાસ પરિષદ સેતુની ભુમિકા ભજવશે. તેમણે ખાસ કરીને વિધવા બહેનો અને સિનિયર સિટીઝન્સને વધુમાં વધુમાં મદદ કરવા માટે આહવાન કર્યું હતું. અખિલ ભારત વિકાસ પરિષદની વાત કરવામાં આવે તો આ સંસ્થા રાષ્ટ્રસમર્પિત, બુધ્ધિનિષ્ઠ, જાગૃત અને સંપન્ન સભ્યોની સદસ્યતાવાળી સામાજીક, સાંસ્કૃતિક અને પારિવારિક સંસ્થા છે. સંસ્થા વિશે વધુ માહિતી વલ્લભભાઇ રામાણી અને સુનિલ ભટ્ટે આપી હતી.