ભરૂચ : કબીરવડ ખાતે દિવાળી વેકેશનમાં જોવા મળ્યાં સહેલાણીઓ, સ્થાનિકોમાં ફેલાઇ ખુશી
ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલાં પ્રવાસન સ્થળ કબીરવડ ખાતે દિવાળી વેકેશેન દરમિયાન સહેલાણીઓની હાજરી જોવા મળતાં નાના વેપારીઓ તથા હોડીવાળાઓના ચહેરા પર સ્મિત આવ્યું છે.
પાવન સલિલા મા નર્મદાના કિનારે અનેક પ્રવાસન સ્થાનો આવેલાં છે જેમાંથી એક કબીરવડ પણ છે. વર્ષો પહેલાં કબીરવડ જાહોજલાલી ધરાવતું પ્રવાસન સ્થળ હતું. રાજયભરમાંથી સહેલાણીઓ કબીરવડ ખાતે નર્મદા નદીના છીછરા જળમાં મોજ મસ્તીનો આનંદ ઉઠાવતાં હતાં. પણ ઘણા વર્ષોથી ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં કબીરવડ ખાતે નર્મદા નદી સુકીભઠ બની ચુકી હતી. એક કિનારાથી બીજા કિનારા સુધી નાવડી ચાલી શકે તેટલા પણ પાણી રહયાં ન હતાં.
છેલ્લા બે વર્ષથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નદીના જળસ્તરમાં વધારો થયો છે. કબીરવડ ખાતે પ્રવાસીઓની સંખ્યા ઘટી જતાં નાના વેપારીઓ તેમજ હોડી સંચાલકોની હાલત કફોડી બની હતી. ચાલુ વર્ષે કોરોના વાયરસના કહેર વચ્ચે પણ કબીરવડ ખાતે પ્રવાસીઓની હાજરી જોવા મળી રહી છે. કબીરવડ ફરીથી ધમધમતું થતાં સ્થાનિક લોકોને હવે રોજગારી મળી રહેશે તેવો આશાવાદ જાગ્યો છે…..