ભરૂચ : સંગીત કલાકારોની લોકડાઉનને લઈને કફોડી હાલત, કલેક્ટરને પાઠવ્યું આવેદન
ભરૂચ જિલ્લા કલેક્ટરને ગુજરાત કલાવૃંદ સાથે જોડાયેલા અને સંગીતની કલા ક્ષેત્રે સંકળાયેલા કલાકારોએ આવેદન આપી અનલોક-4 તબક્કામાં મહદઅંશે છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
કોરોના મહામારીમાં દેશને આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરી સંપૂર્ણ ગતિવિધિઓ પર રોક લગાવી દેવામાં આવી હતી. જેના કારણે અનેક નાના મોટા ધંધાર્થીઓ તેમજ નોકરિયાતવર્ગને બેરોજગાર બનવાનો વારો આવ્યો હતો. સરકારે આર્થિક ગતિવિધિઓ ફરીથી શરૂ કરવા દેશમાં અનલોકની જાહેરાત કરી વિશેષ છૂટછાટ આપી હતી. પરંતુ સિઝનલ ધંધો કરતાં ધંધાદારીઓ સિઝન નીકળી જતાં ભારે નુકશાની વેઠી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તહેવારોની ઉજવણી પણ સાર્વજનિક રીતે પ્રતિબંધિત થતાં સંગીત તેમજ મંડપ ડેકોરેશન ક્ષેત્રે જોડાયેલા લોકો બેકાર થયાં છે. છેલ્લા 6 મહિનાથી વ્યવસાય બંધ રહેતા હાલત તેઓની હાલત કફોડી બની છે.
ભરૂચ જીલ્લામાં પણ આ બંને ક્ષેત્રે સંકળાયેલા લોકોની દયનીય હાલત બની છે. 6 મહિના બાદ પણ વ્યવસાય પુનઃ શરૂ નહીં થતાં વ્યવસાયિકો સરકાર સામે ગુહાર લગાવી રહ્યા છે. ગત રોજ મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતાં ધંધાદારીઓએ કલેકટરને આવેદન આપી છૂટછાટ આપવા માંગ કરી હતી. ત્યારે આજે ફરી ગુજરાત કલાવૃંદ સાથે સંકળાયેલા ભરૂચના કલાકારો, સંગીત કલાકારો સહિત તેમના સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા લોકોનું ગુજરાન ચાલે અને ધાર્મિક તેમજ સાંસ્ક્રુતિક કાર્યક્રમો ફરીથી શરૂ કરવા દેવાની થોડી ઘણી છૂટ આપવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ કલકેટરને આવેદન પાઠવ્યું હતું. ભરૂચ જીલ્લામાં આ ક્ષેત્રે સંકળાયેલા લગભગ 2 હજાર જેટલા લોકોની રોજગારી ફરી શરૂ થાય તેવી આશા સાથે રજૂઆત કરવામાં આવી હતી.