ભરૂચ : લોકડાઉન વેળા ચાલતા જતાં લોકો માટે સેવાભાવી યુવાનો દ્વારા જમવા-પાણીની વ્યવસ્થા કરાઇ
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે રક્ષણ માટે સરકાર તથા સામાજિક અને સ્વૈચ્છીક સંસ્થાઓ સતત રાત દિવસ પ્રયાસમાં લાગી ગઈ છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના સેવાભાવી યુવાનો દ્વારા જમવા માટે ખિચડી અને પીવા માટે પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોરોના વાયરસનો ખોફ સમગ્ર દુનિયા અનુભવી રહી છે, ત્યારે ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ જતાં હાઈવે પરથી કેટલાય કિલોમીટર સુધી લોકો ચાલતા પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે માર્ગ પરથી ભૂખ્યા તરસ્યા પસાર થતાં રાહદારીઓ માટે ભરૂચ શહેરના સેવાભાવી યુવાનો દ્વારા જમવા માટે ખિચડી અને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લઈ સેવાભાવી યુવાનોનો આભાર માન્યો હતો.
ભરૂચના સેવાભાવી યુવાનોએ લોકડાઉન વેળા લોકસેવાનું સુંદર કાર્ય કરી લોકોએ લોકડાઉનનું પાલન કરવું, જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવું, સ્વચ્છતા રાખવી તેમજ શરીરમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ જણાઈ તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી તબીબની સલાહ લેવી જેવી આવશ્યક બાબતોથી લોકોને અવગત કર્યા હતા.