ભરૂચ : મહા શિવરાત્રીના પર્વે 15 ફૂટ ઊંચી શિવ પરિવારની ફાઇબરની પ્રતિમા લોકોમાં જમાવશે આકર્ષણ
ભરૂચમાં દરેક
ધાર્મિક તહેવારોનું અનેરૂ મહત્વ રહેલું છે, ત્યારે આ વર્ષે
મહા શિવરાત્રિના પાવન પર્વે બાહુબલી ગ્રુપ-2ના યુવાનો દ્વારા વિશેષ આયોજન કરવામાં
આવ્યું છે. શિવ પરિવારની ફાઇબરની પ્રતિમા બનાવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું
ધ્યાન રાખી લોકોમાં જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે શિવ પરિવારની ફાઇબરની પ્રતિમા મહા શિવરાત્રિના પર્વે લોકોમાં ભારે
આકર્ષણ જમાવશે.
ભરૂચમાં મહા
શિવરાત્રિની તડામાર તૈયારીઓ વચ્ચે બાહુબલી ગ્રુપ-2ના યુવાનો દ્વારા મહા
શિવરાત્રીના પર્વની ઉજવણી કરવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. લોકોમાં
જાગૃતિ લાવવાના ભાગરૂપે લગભગ 15 ફૂટ ઊંચી નંદિ (ગાય) સહિત સમગ્ર શિવ પરિવારની
રેકજીન ફાઇબરની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. આ મૂર્તિ
મહારાષ્ટ્રના કારીગરો પાસે તૈયાર કરવામાં આવી રહી છે. શિવ પરિવાર સાથે ગણપતિ અને
કાર્તિકેય સહીત સમગ્ર શિવ પરિવાર સાથે પૃથ્વી પ્રદક્ષિણા થીમ આધારિત રેકઝીન
ફાઇબરમાંથી પ્રતિમાઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
બાહુબલી-2ના આયોજકોએ
જણાવ્યું હતું કે, ભરૂચના વૃદ્ધાઆશ્રમોમાં વૃદ્ધ માતા-પિતાઓની દયનીય
હાલત જોઈ આજની યુવાપેઢીમાં માતા-પિતાનું મહત્વ શું છે, તે
અંગે પણ જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. ઉપરાંત આ પ્રતિમાઓ રેકઝીન ફાઇબરની હોવાથી
નર્મદા નદીમાં વિસર્જીત કરાશે નહીં, જેના કારણે નર્મદા
નદીમાં રહેલા જળચર જીવોને પણ નુકશાન થતું અટકશે, ત્યારે
હવે ભરૂચમાં આવનારા શ્રીજી મહોત્સવમાં શ્રીજી યુવક મંડળો પણ ફાઈબરની પ્રતિમા
સ્થાપવાનો આગ્રહ રાખે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.
છેલ્લા 2 વર્ષથી
નંદી પર સવાર શિવ-પાર્વતીની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા ભરૂચની શ્રવણ ચોકડીથી
શક્તિનાથ મહાદેવ મંદિર સુધી કાઢવામાં આવે છે, ત્યારે આ વર્ષે
પણ બાહુબલી-2ના સભ્યો દ્વારા મહા શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ શિવ પરિવારની સાથેની
ભવ્ય શોભાયાત્રા શક્તિનાથથી શહેરના રાજમાર્ગો પર નીકળશે, ત્યારે શિવ પરિવારની પ્રતિમાઓને ભરૂચની ધર્મપ્રેમી જનતા માટે શક્તિનાથ
ખાતે 2 દિવસ સુધી દર્શનાર્થે મુકવામાં આવનાર છે.