ભરૂચ : માંડવા નજીક આગની ઘટના, બેજવાબદારોએ કેમિકલ વેસ્ટના નિકાલ બાદ આગ ચાંપી હોવાની ચર્ચા
ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર માંડવા ગામ નજીક કચરાના ઢગલામાં આગ લાગતાં નાસભાગ મચી હતી, ત્યારે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર માંડવા ગામની સિમ નજીક રસાયણિક કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
સમગ્ર બનાવની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોને સમગ્ર આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી, ત્યારે હાલ તો કોઈ બેજવાબદાર તત્વો દ્વારા કેમિકલ વેસ્ટને ગેરકાયદેસર રીતે જાહેરમાં નિકાલ કરી તેને સળગાવી દેવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.