ભરૂચ : નગરપાલિકાની આળસ, કચરાપેટી ઉઠાવી કચરાના નિકાલને બદલે સળગાવે છે કચરો
ભરૂચ નગરપાલિકાએ શહેરમાંથી કચરો એકઠો કરવા માટે દરેક વિસ્તારમાં કચરા પેટીઓ મૂકી છે. આ કચરા પેટીઓ ભરાઈ જતા પાલિકા દ્વારા તેને ઉઠાવી લઈ નિકાલ કરાય છે. પરંતુ ઘણા વિસ્તારમાં કચરા પેટી મા જ કચરો સળગાવી દેવામાં આવે છે. જે જોતા પાલિકા તંત્રે કચરો ઉઠાવવાના સ્થાને સળગાવી દેવાઓ અભિગમ અપાવ્યો હોય તેમ લાગે છે.
પાલિકા દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળના ભાગમાં પાનમ પ્લાઝા નજીક કચરાપેટી મુકવામાં આવી છે. આ કચરા પેટી છલકાઈ જવા છતાં પાલિકા દ્વારા ઉઠાવવામાં આવી ન હતી. આજ રોજ આ કચરા પેટીના કચરામાં આગ લાગી હતી. કચરા પેટીની નજીક દીવાલો પર ઑફિસના એસી ના આઉટદોરને પણ આગ ચપેટમાં લે તેવા સંજોગ ઉભા થયા હતા. તો બીજી બાજુ પાનમ પ્લાઝા પાછળની દીવાલ પણ ધુમાડાના કારણે કાળી પડી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે કચરા પેટીની નજીક લોકો પોતાના વાહનો પાર્ક કરે છે. કચરા પેટીમાં લાગેલી આગથી વાહનોમાં પણ આગ લાગવાની સંભાવના ઉભી થઇ હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પાલિકા ઘ્વારા કચરા પેટીઓ ઉઠાવી લઈ કચરાનો નિકાલ કરવાનો હોય છે તેના સ્થાને કચરો સળગાવી દેવાતા સળગાવનાર સામે પાલિકા કાયદેસર કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું.