ભરૂચ : નાંદ ગામમાં કથિત માટી ખનનનું કૌભાંડ, જુઓ શું કહે છે ગ્રામજનો
ભરુચ તાલુકાનાં નાંદ ગામે ગેરકાયદેસર રીતે માટી ખનનનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં આ સમગ્ર કૌભાંડમા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચની ભુમિકા સાથે સવાલો ઉઠાવ્યાં છે.
ભરુચ તાલુકાનાં નાંદ ગામના ગ્રામજનોએ ગેરકાયદેસર રીતે થઇ રહેલાં માટી ખનન અંગે ક્લેક્ટરને રજૂઆત કરી છે. જેમાં ગામમાં રેતી ચોરીનું મોટુ કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ ક્લેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નાંદ ગામે છેલ્લા બે વર્ષથી સરકારની કોઈ પણ જાતની પરવાનગી વગર આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
ભૂ માફિયાઓએ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી બે કી.મી. સુધીનો લાંબો રસ્તો બનાવી દીધો છે. આ અંગે ગ્રામસભામાં રજૂઆત કરવામાં આવી હોવા છ્તા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચની ભુમાફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ પણ ગામલોકોએ લગાવ્યો છે.