ભરૂચ : દિપાવલીના દિપકો દિવ્યાંગોના જીવનમાં ફેલાવશે સધ્ધરતાનો પ્રકાશ
ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને આ કહેવતને ભરૂચની કલરવ શાળાના દિવ્યાંગ બાળકો સાર્થક કરી રહયાં છે. આર્થિક રીતે પગભર બનવા માટે તેઓ વેચાણ માટે કલાત્મક દીવડાઓ બનાવી રહયાં છે.
ભરૂચ શહેરની કલરવ શાળામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણની સાથે આર્થિક રીતે પગભર બનાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે. અભ્યાસ ઇતર પ્રવૃતિના ભાગરૂપે તેમને અગરબત્તી, દીવડાઓ સહિતની વસ્તુઓ બનાવવાની તાલીમ અપાઇ છે. દિપાવલીના મહાપર્વ આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે શાળાના બાળકો હાલ કલાત્મક અને રંગબેરંગી દિવડાઓ બનાવવામાં વ્યસ્ત બની ગયાં છે. શાળાના સંચાલક નીલાબેન મોદીએ જણાવ્યું હતું કે, બાળકો દીવડાઓ બનાવવાની પ્રવૃતિમાં ઉત્સાહભેર ભાગ લેતાં હોય છે. દીવડાઓના વેચાણથી થતી આવક સીધા જે તે બાળકના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. આમ ભવિષ્યમાં તેઓ આર્થિક રીતે સધ્ધર બની શકે તેવો અમારો પ્રયાસ છે.