ભરૂચ : શહેરમાં મંદિરો તથા દુકાનોમાં ચોરી કરતી ટોળકી ઝડપાય, જુઓ કયાં હતો તસ્કરોનો પડાવ
સાંપ્રત સમયમાં તસ્કરો હવે મંદિરોમાં ચોરી કરતાં પણ ખચકાતાં નથી. ભરૂચ શહેરમાં અનેક મંદિરોમાં ચોરી કરનારી તસ્કર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે.
ભરૂચ શહેરમાં આવેલાં મંદિરો તથા દુકાનોમાં ચોરીના બનાવો વધી જતાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તસ્કર ટોળકીને ઝડપી પાડવા સુચના આપી હતી. દરમિયાન ભરૂચ એ ડિવિઝનના પીઆઇ એ.કે.ભરવાડ તથા તેમની ટીમે ચોરીના બનાવ જયાં બન્યાં હતાં ત્યાં આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ વેળા તેમને માહિતી મળી હતી કે મામલતદાર કચેરીની પાછળના ભાગે રેલવેના પાટાની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક યુવાનો શંકાસ્પદ હિલચાલ કરી રહયાં છે.
પોલીસે છાપો મારી મુળ દાહોદ જિલ્લાના વરમખેડા તથા આસપાસના ગામોના રહેવાસી અલ્કેશ ગણાવા, મહેશ ભુરિયા, કરણ ભાભોર અને અર્જુન મોહણીયાને ઝડપી પાડયાં હતાં. આરોપીઓએ આશ્રય સોસાયટીમાં જગન્નાથ મંદિર, જુની મામલતદાર ઓફીસ સામે હનુમાનજી મંદિર, અયોધ્યાનગરમાં સંતોષી માતાજીનું મંદિર, લીંક રોડ પર ગંગેશ્વર મહાદેવ , નારાયણકુંજ સોસાયટીમાં આવેલું મંદિર, એસટી ડેપો સામે આવેલા મહાદેવ મંદિર તથા અન્ય દુકાનોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ ગુનામાં રાકેશ મેડા નામનો તસ્કર ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.