ભરૂચ : “પોલીસ સ્મૃતિ દિવસ”, જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
આજે સમગ્ર દેશ સહિત રાજ્યમાં પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર ભારતમાં અનેક પોલીસકર્મીઓએ દેશની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે, તેમના બલિદાનને કારણે આજે દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. જ્યારે દેશવાસીઓ તહેવારોની ઉજવણી કરે છે, ત્યારે પોલીસકર્મીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે. લોકડાઉનના અમલમાં પણ પોલીસની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી. કોરોના સંકટના કારણે કેટલાય પોલીસકર્મીઓના મોત નીપજ્યાં છે, ત્યારે બુધવારના રોજ ભરૂચના કાળી તલાવડી વિસ્તારમાં આવેલ પોલીસ હેડ ક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે દરેક શહીદને સલામ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસકર્મીઓને સંબોધન કર્યું હતું.