ભરૂચ : જંબુસરની જોધલપીર સોસાયટીના આર.સી.સી. રોડમાં પડી તિરાડો, રોડ નિર્માણમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
ભરૂચ જિલ્લાના જંબુસરમાં આવેલી જોધલપીર સોસાયટીમાં નગરપાલિકાએ રૂપિયા 4 લાખના ખર્ચે બનાવેલ આર.સી.સી.
રોડમાં માત્ર એક જ માસમાં તિરાડો પડી જતા સ્થાનિકોમાં રોડ નિર્માણ અંગે ભ્રષ્ટાચાર
થયો હોવાની ફરિયાદ ઉઠાવી છે.
જંબુસર નગરપાલિકા દ્વારા જોધલપીર સોસાયટીમાં રસ્તો બનાવવા રૂપિયા 4 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. જેનો કોન્ટ્રાક્ટ મક્કન પટેલને આપવામાં આવતા એક મહિના પહેલા જ નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિકોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠવા પામી છે. કારણ કે, રોડ બનાવ્યાના એક જ મહિનામાં રોડ પર તિરાડો પડી છે. ગુણવત્તા વિના રોડ બનવાના કારણે રોડમાં તિરાડો પડી હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
જંબુસરની જોધલપીર સોસાયટીના રહીશ અને જાગૃત નાગરિક સુરેશ પરમારે જણાવ્યુ હતું કે, કોન્ટ્રાક્ટરે રોડ બનાવવામાં લાપરવાહી રાખી છે. રોડ સાઈડમાં જે પુરાણ કરવાનું હોય તે કર્યું નથી. રોડ બનાવ્યા પછી પૂરતું પાણી આપવામાં આવ્યું નથી, સાથે જ ગુણવત્તા ન જળવાતા રોડમાં તિરાડો પડી છે. જેમાં નગરપાલિકાની પણ બેદરકારી છતી થાય છે. હવે જ્યારે રોડમાં તિરાડો પડી છે, ત્યારે પાલિકા તંત્રએ રોડની ગુણવત્તાની ચકાસણી કરી જરૂરી પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ તેમણે ઉઠાવી છે.