ભરૂચ : કોરોનાગ્રસ્ત દર્દીઓને રાહત, જુઓ શહેરની કઈ હોસ્પિટલમાં પણ મળશે હવે સારવાર
ભરૂચ શહેરની પટેલ વેલફેર હોસ્પિટલમાં સોમવારના રોજથી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ થયો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે વેલફેર હોસ્પિટલમાં 64 બેડ અને 10 વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બનતા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં આવેલ પટેલ વેલફેર હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવાર માટે મંજુરી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે સોમવારના રોજથી કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાના દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવશે.
પટેલ વેલફેર હોસ્પિટલમાં રૂપિયા 65 લાખના ખર્ચે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 64 બેડ અને 10 વેન્ટીલેટરની સુવિધા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સ્પેશિયલ કોવીડ જયાબેન મોદી હોસ્પિટલ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલ અને હવે પટેલ વેલફેર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે, ત્યારે જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વધુમાં વધુ સારી સારવાર મળી શકશે અને અન્ય જીલ્લાઓની હોસ્પિટલ ઉપર ભરૂચના કોરોનાગ્રસ્ત દર્દીઓએ આધાર રાખવો પડશે નહીં.